લોકસભા ચૂંટણીમાં નવજોતસિંહ સિધૂ સાથે ચાલી રહેલા મતભેદ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું છે કે જો રાજ્યમાં કોંગ્રેસ ચૂંટણી હારી જશે તો તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે. અમરિંદર સિંહના મતે દરેક મંત્રીઓ અને ધારાસભ્યોને કોંગ્રેસે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ભિન્ન-ભિન્ન જવાબદારીઓ સોંપી દેવાઈ છે. સિધૂની પત્નીને લોકસભા બેઠક માટે ટિકિટ નહીં મળવા પાછળ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશા કુમારી કારણભૂત હોવાની વાતને પણ તેમણે ફગાવી દીધી હતી. કેપ્ટન અમરિંદરે કહ્યું કે તેમને અમૃતસર અથવા ભટિંડાની બેઠક માટે કોંગ્રેસ તરફથી ટિકિટ ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેના માટે તેમણે નનૈયો ભણ્યો હતો. તેમજ ચંદીગઢ લોકસભા બેઠક પર નવજોત કૌરને ટિકિટ નહીં મળવા પાછળ હું જવાબદાર નથી કારણકે ટિકિટ ફાળવણીનું કામ દિલ્હી કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે અને તેમણે તેના માટે પવન કુમાર બંસલને પસંદ કર્યા છે.કોંગ્રેસ નેતા નવજોતકૌર સિધૂએ ૧૪ મેએ આક્ષેપ લગાવ્યો હતો કે મને લોકસભાની ચૂંટણીમાં અમૃતસર બેઠકની ટિકિટ ન મળે તેનું ખાસ ધ્યાન રાખવા માટે અમરિંદર સિંહ તેમજ તેમની પાર્ટીએ આશા કુમારીને કહ્યું હતું.
પાછલી પોસ્ટ