મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. વિસ્તરણ કરવામાં આવ્યા બાદ વિપક્ષે આકરી ટિકા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ ફેરફારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, મોદી એકબાજુ યુવા વર્ગની વાત કરી રહ્યા છે પરંતુ કેબિનેટની રચના કરવામાં આવી નથી બલ્કે સિનિયરોને પ્રાથમિકતા આપવામાં આવી છે. કેબિનેટમાં સામેલ કરવામાં આવેલા તમામ સિનિયરોની વય વધારે છે. આવી સ્થિતિમાં સિનિયરોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં સરેરાશ વય ૨૭ વર્ષની આસપાસ છે ત્યારે સિનિયરોને વધારે મહત્વ અપાઈ રહ્યું છે. બીજી બાજુ હજુ સુધી ફ્લોપ રહેલા પ્રધાનોને બઢતી આપવામાં આવી છે જે ભારે આશ્ચર્ય સર્જે છે. વાણિજ્ય મંત્રી તરીકેના ગાળામાં નિર્મલા સીતારામન હેઠળ નિકાસમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. તેમને બઢતી આપી દેવામાં આવી છે. મુખ્તાર અબ્બાસ નકવીને પ્રમોશન લઘુમતિ સમુદાયને ખુશ કરવા સિવાય કશું જ નથી. મનિષ તિવારીએ એમ પણ કહ્યું હતું કે, મોદી કહેતા આવ્યા છે કે મેક્સિમમ ગવર્નન્સ અને મિનિમમ મિનિસ્ટર્સ પરંતુ હવે મેક્સિમમ મિનિસ્ટર અને મિનિમમ ગવર્નન્સ છે.