ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે કહ્યું હતું કે, દેશના લોકો કોન્ટ્રાક્ટ ઉપર વડાપ્રધાન ઈચ્છતા નથી. નકવીએ એમ પણ કહ્યું હતું કે, વિપક્ષી ગઠબંધન દ્વારા મજબુર અને નબળી સરકાર બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે છ મહિના માટે એક વડાપ્રધાન અને આગામી છ મહિના માટે બીજા વડાપ્રધાન રહેશે. નકવીએ કહ્યું હતું કે, લોકો એક મજબુત અને નિર્ણાયક સરકાર ઈચ્છે છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, દેશના લોકો બાંધછોડ વાળી સરકાર ઈચ્છતા નથી. લઘુમતિ બાબતોના મંત્રી નકવીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષના ગાળામાં વિકાસના જે કામ કરવામાં આવ્યા છે. તેના આધાર ઉપર દેશના લોકો મતદાન કરનાર છે. નકવીએ એમ પણ કહ્યું હતું કે, વિપક્ષી ગઠબંધન પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. મોટાભાગના વિરોધ પક્ષો ચૂંટણી થઈ ગયા બાદ પોતાના ઓળખ ગુમાવી દેશે. કારણ કે આ પક્ષો અસ્તિત્વ માટેની લડાઈ લડી રહ્યા છે. તેમણી સમસ્યા વધી શકે છે. નકવીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષના ગાળામાં દેશે જુદા જુદા ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. વિશ્વના દેશોમાં ભારતની બોલબાલા વધી છે. ભારતની તાકાતની નોંધ લેવાઈ છે.