છેલ્લા વર્ષ દરમિયાન સ્વચ્છ અમદાવાદ મિશન અને સ્વચ્છ વોર્ડ અભિયાન પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી કરોડો રૂપિયાનું આંધણ કરાયા બાદ પણ અમદાવાદ સ્વચ્છ બન્યું નથી. આજે પણ ઠેર ઠેર કચરાના ઉકરડા જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ ઉનાળાની ઓફ સિઝન હોવા છતાં પણ વધ્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના કેસ સતત વધી રહ્યા છે.દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં ચાલુ વર્ષના જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાનના છેલ્લા ચાર મહિનામાં ડેન્ગ્યુના સત્તાવાર દસ કેસ નોંધાઇ ચૂકયા છે. ઘાતક ડેન્ગ્યુના બિનસત્તાવાર કેસનો આંકડો તો અનેકગણો વધારે હોઇ બહેરામપુરા વોર્ડ ડેન્ગ્યુગ્રસ્ત બન્યો છે.
કોર્પોરેશનના ચોપડે ચાલુ વર્ષના છેલ્લા ચાર મહિનામાં ડેન્ગ્યુના સત્તાવાર ૧૦પ કેસ નોંધાયા છે. આ સત્તાવાર કેસને વોર્ડ વાઇઝ તપાસતાં બહેરામપુરાના દસ કેસ બાદ દરિયાપુર અને લાંભામાં ૯ કેસ, જમાલપુરમાં ૬ કેસ, દાણીલીમડામાં ૬ કેસ, મકતમપુરા અને કુબેરનગરમાં પાંચ કેસ નોંધાયા છે. ગત મે મહિનામાં ડેન્ગ્યુના વધુ સત્તાવાર નવ કેસ તંત્રના ચોપડે નોંધાઇ ગયા છે.જોકે શહેરના ખાનગી દવાખાનાં અને ખાનગી હોસ્પિટલોમાંથી કોર્પોરેશનને ડેન્ગ્યુના કેસના આંકડા મળતા નથી. જો આવા ખાનગી કેસને પણ તપાસાય તો અમદાવાદીઓ વગર ચોમાસે ડેન્ગ્યુથી પરેશાન થતા હોવાનું જણાઇ આવશે. મચ્છરોની ઉત્પત્તિ માટે ચોમાસું અનુકૂળ સિઝન છે. આગામી તા.૧પ જૂનથી ડેન્ગ્યુ જેવો મચ્છરજન્ય રોગચાળો વધુ વકરીને નાગરિકોને તોબા પોકારાવશે.