સંસદનું શીતકાલીન સત્ર ગઈકાલે સમાપ્ત થઈ ગયું અને સંસદમાં પસાર નહી થવાને કારણે ત્રણ તલાક વટહુકમ સમાપ્ત થઈ ચૂક્યો છે.
નિયમ એવો છે કે વટહુકમ લાવ્યા બાદ તેને પહેલાં જ સંસદીય સત્રમાં રજૂ કરવું પડે છે અન્યથા છ મહિના બાદ તે આપોઆપ સમાપ્ત થઈ જાય છે. હવે જો કોઈ ત્રણ તલાક આપશે તો તે અપરાધ નહી ગણાય, ન તલાકશુદા મહિલાને સંરક્ષણ આપવાની કોઈ વાત રહે. આ ખરડાનો હેતુ મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી સંરક્ષણ આપવાનો હતો. સરકારે લોકસભામાં આ ખરડાને પાસ કરાવી લીધો હતો પરંતુ સરકાર વિપક્ષના વિરોધને કારણે આ ખરડો રાજ્યસભામાં રાખી શકી નહોતી.
હવે રાજ્યસભાનું સત્ર પણ સમાપ્ત થઈ ચૂક્યું છે જેનાથી ત્રણ તલાકને અપરાધ ગણનારો વટહુકમ પણ આપોઆપ પૂરો થઈ ગયો છે.
હવે સરકાર સામે સમસ્યા એ છે કે આ વટહુકમને નવી રીતે લાવવો પડશે. મોદી સરકારે ત્રણ તલાક વટહુકમ ૨૦ સપ્ટેમ્બરે જાહેર કર્યો હતો. હવે સરકાર આ અંગે બીજી વખત વટહુકમ લાવશે જેથી ૨૦૧૯ની ચૂંટણી દરમિયાન તે પ્રભાવિત રહે પરંતુ સમસ્યા એ છે કે બીજી વખત વટહુકમનો માર્ગ આસાન નહી રહે.
સુપ્રીમ કોર્ટ આ પહેલાં પણ એક મામલામાં કહી ચૂકી છે કે વટહુકમની પુનઃ જાહેરાત બંધારણ સાથે છેતરપિંડી છે. કોર્ટે આ ટીપ્પણી ૨૦૧૭માં બિહારના એક કેસ અંતર્ગત કરી હતી.