દેશનાં રાષ્ટ્રપતિનાં બોડીગાર્ડની નિમણૂંક જ્ઞાતિ આધારિત થાય છે તેની સામે દિલ્હી હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે.
આ અરજીનાં પગલે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, આર્મી વડા પાસેથી જવાબ માંગ્યો છે.દિલ્હી હાઇકોર્ટનાં ન્યાયાધીશો એસ. મુરલીધર અને સંજીવ નરુલાએ રક્ષા મંત્રાલય, આર્મી વડા, આર્મી રિક્રુટમેન્ટનાં ડિરેક્ટર અને કમાન્ડન્ટ, પ્રેસિડેન્ટનાં બોડીગાર્ડને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. કોર્ટે ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યા છે.હરિયાણાનાં રહેવાસી ગૌરવ યાદવે જાહેર હિતની અરજી કરી છે અને જ્ઞાતિ આધારિત રાષ્ટપતિનાં બોડીગાર્ડની નિમણૂંકને બંધ કરવાની દાદ માંગી છે. રાષ્ટ્રપતિનાં બોડીગાર્ડની નિમણૂંક ૪ સપ્ટેમ્બર ૨૦૧૭માં યોજવામાં આવી હતી જેમાં જત, રાજપૂત અને જત શીખનાં ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા.અરજદારે કહ્યું કે, તેઓ આહિર (યાદવ) જ્ઞાતિનાં છે અને રાષ્ટ્રપતિનાં બોડીગાર્ડ બનવા માટેની તમામ લાયકાત ધરાવે છે, સિવાય કે જ્ઞાતિ. ચોક્કસ જ્ઞાતિનાં યુવાનોને જ રાષ્ટ્રપતિનાં બોડીગાર્ડની નિમણૂંક માટે પસંદગી કરવામાં આવે છો તે ભેદભાવ ભરી નીતિ છે અને તે બંધારણનાં નિયમની વિરુદ્ધ છે અને તેથી તેને રદ કરવી જોઇએ. બંધારણે આપેલા અધિકારો મુજબ, જાહેર સેવકની પસંદગી પ્રક્રિયામાં જ્ઞાતિ-જાતિ, ધર્મ એમ કોઇ ભેદભાવ રાખી શકાય નહીં. પણ આ કસેમાં માત્ર ત્રણ જ જ્ઞાતિનાં ઉમેદવારોને પસંદગી આપવામાં આવે છે જે ભેદભાવયુક્ત નીતિ છે. રાષ્ટ્રપતિની ઓફિસ એ પલ્બિક ઓફિસ છે.અરજદારે આ ભેદભાવભરી નીતિને રદ કરી નવી નીતિ અમલમાં મૂકવાની માંગણી કરી છે અને થયેલી ભરતીને રદ કરવાની પણ દાદ માંગી છે.