૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામની જાહેરાત કરવાના ડીએમકે અધ્યક્ષ એમ કે સ્ટાલિનની નાટકિય જાહેરાત બાદ અન્ય વિરોધ પક્ષોમાં ચર્ચા છેડાઈ ગઈ છે. મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે સ્ટાલિનના આ પ્રસ્તાવને અયોગ્ય ગણાવ્યો હતો.
બીજી બાજુ આ મામલે સપા અને બસપાએ આ મામલે હજી સુધી એક પણ હરફ ઉચ્ચાર્યો નથી. તો ટીડીપીએ આ મુદ્દે મોં ફેરવી લીધું છે.
નામ જાહેર ના કરવાની શરતે ટીએમસીના એક સાંસદે જણાવ્યું હતું કે, અમારા પક્ષનું માનવું છે કે, આ પ્રકારની જાહેરાતથી ખોટો સંદેશ જઈ શકે છે. વડાપ્રધાન પદના ઉમેદવારની પસંદગીનો નિર્ણય લોકસભાની ચૂંટણી બાદ કરવો જોઈએ. સમય પહેલા કરવામાં આવનારી કોઈ પણ પ્રકારની જાહેરાતથી વિરોધ પક્ષોમાં તિરાડ પડી શકે છે.
સ્ટાલિન જ્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર સંબંધીત જાહેરાત કરી રહ્યાં હતાં, તે દરમિયાન સ્ટેજ પર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંન્દ્રબાબુ નાયડૂ પણ હાજર હતાં. તેઓ આ નજારો શાંતિથી જોઈ રહ્યાં હતાં. તેમની પાર્ટી ટીડીપી આ મુદ્દો સુરક્ષીત અંતર જાળવવા માંગે છે. ટીડીપીના રાષ્ટ્રીય પ્રવક્તાઅ લંકા દિનાકરને કહ્યું હતું કે, અમારા સંપૂર્ણ ધ્યાન હાલ ભાજપ વિરોધી મોરચો રચવાનું છે. ડીએમકે યૂપીએ-૨ સરકારનો ભાગ રહી ચુકી છે, માટે રાહુલ ગાંધીને લઈને તેમની જાહેરાતને અમે સમજી સકીએ છીએ. હાલ અમે આ મામલે કંઈ જ કહેવા માંગતા નથી કારણ કે અમારૂ ધ્યાન વડાપ્રધાન પદના ઉમેદવાર પર નથી.
પાછલી પોસ્ટ