યોગગુરૂ રામદેવ બાબાનું કહેવું છે કે જો મોદી અને યોગી સરકારના રહેતા પણ જો રામ મંદિર નહીં બને તો લોકોનો ભારતીય જનતા પાર્ટી પરથી વિશ્વાસ ઉઠી જશે. બાબા રામદેવ મંગળવારે ઉત્તરી હરિદ્વાર સ્થિત શદાણી દરબારના નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે પત્રકારો સાથે આ બાબતે ચર્ચા કરી હતી.આ કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, ‘ભગવાન રામ એ ભારતીય જનતાની આસ્થાના પ્રતીક સમાન છે. તેમના મંદિરના નિર્માણનો મુદ્દો એ દેશની અસ્મિતા સાથે જોડાયેલો છે. રામ મંદિર બનાવવામાં લાગી રહેલી સમયના કારણે હવે જનતાની ધીરજ ખૂટી રહી છે.’ પત્રકારના એક સવાલનો જવાબ આપતા બાબા રામદેવે કહ્યું, જો દેશની જનતા એમ કહેતી હોય કે તેઓ જાતે જ રામ મંદિરના નિર્માણનું કામ શરૂ કરી દે તો તે વાત પણ વ્યાજબી નથી કારણકે આવું કરવાથી સમાજિક સમરસતા ડોહળાઈ જવાનો ખતરો રહેશે અને કાયદા વ્યવસ્થા પર પણ મોટું સંકટ ઉભું થઈ શકે છે. બાબા રામદેવે પણ મંદિરના નિર્માણ પર વટહુકમ લાવવાની બાબત પર સમર્થન કરતા કહ્યું, ‘જો કારસેવકો રામ મંદિરના નિર્માણનું કામ શરૂ કરે તો તે કોર્ટનું અપમાન કર્યું કહેવાય. રામ મંદિર બનાવવા માટે વટહુકમ લાવવો એ જ એક માત્ર રસ્તો છે.’ ઉલ્લેખનીય છે કે, ૨૫ નવેમ્બરના રોજ વિશ્વ હિંદુ પરિષદ સહિત તમામ હિંદુવાદી સંગઠનોએ અયોધ્યામાં ધર્મસભા યોજી હતી. આ ધર્મસભા દ્વારા તેઓએ સરકારને સંદેશો મોકલ્યો છે કે તેઓ ચૂંટણી પહેલા જ રામ મંદિર નિર્માણના કામની શરીઆત કરાવી દે.
પાછલી પોસ્ટ