પોતાનો રાજકીય હેતુ સાધવા હિંદુ અને મુસ્લિમોના મનમાં વેર વધારતા ભારતમાં હિંદુ-મુસ્લિમ ભાઇચારાના ઉદાહરણ તરીકે બિહારના ગયા જિલ્લામાં આવેલા બુધપુર ગામમાં મુસ્લિમોએ પોતાના હિંદુ બાંધવો માટે નાણાં ભેગાં કરીને મંદિર બાંધી આપ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પોતાના દેવતા માટે ગામના હિંદુઓ મંદિર બાંધી નથી શકતા અને ભગવાનનું નામ લખેલા પાણાની પૂજા કરતા હોવાની વાત ગામનાં મુસ્લિમોના ધ્યાનમાં આવી હતી. ગામના એક રહેવાસી મોહંમદ અઝહરુદ્દીને જણાવ્યું હતું કે મંદિરના અભાવે અમારા હિંદુ ભાઇઓ પૂજાપાઠ કરવામાં તકલીફ અનુભવતા હતા અને માટે અમે નાણાં ભેગાં કરીને એમને માટે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું. બધાએ મળીને ત્રણ લાખ રૂપિયા ભેગાં કર્યાં હતાં અને એક મુસ્લિમ બાંધવે મંદિર બાંધવા માટે પોતાનો જમીનનો ટુકડો પણ દાનમાં આપ્યો હતો.
એક જમાનામાં નક્સલવાદીઓ અને માઓવાદીઓનું ઠેકાણું ગણાતા આ ગામમાં આજે મુસ્લિમોની બહુમતી છે અને અહીંના રહેવાસીઓ ગર્વથી કહે છે કે બંને કોમ હંમેશ હળીમળીને રહી છે તથા એકબીજાના તહેવારોમાં ભાગ પણ લે છે. અગાઉ કુંભ મેળાની તૈયારી વખતે રસ્તા પર અતિક્રમણ કરતા મસ્જિદના ભાગને મુસ્લિમોએ સ્વેચ્છાએ તોડી પાડયો હોવાની વાત પણ છપાઇ હતી.
પાછલી પોસ્ટ