ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં આજે વહેલી સવારે એક ખાનગી હોટેલમાં ભીષણ આગ ફાટી નિકળતા ઓછામાં ઓછા પાંચ લોકો બળીને ભડથુ થઇ ગયા હતા. ચારબાગ રેલવે સ્ટેશનથી આશરે ૨૦૦ મીટરના અંતરે સ્થિત આ હોટેલમાં આગ ફાટી નિકળી હતી. આગમાં કેટલાક લોકો દાજી પણ ગયા છે. જે પૈકી કેટલાક ગંભીર પણ છે. સવારે લાગેલી આગના કારણે અનેક લોકો હોટેલમાં ફસાઇ ગયા હતા. આગ બાદ ફાયર બ્રિગેડનો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કેટલાક લોકોને બચાવી પણ લેવામાં આવ્યા હતા. દાજી ગયેલા લોકો પૈકી પાંચે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. લખનૌના ચારબાગ રેલવે સ્ટેશનથી આશરે ૨૦૦ મીટરના અંતરે સ્થિત હોટેલ વિરાટ ઇન્ટરનેશનલમાં સવારે આગ લાગી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ જે સમય ઘટના બની ત્યારે હોટેલના તમામ કર્મચારીઓ અને હોટેલમાં રોકાયેલા લોકો ઉંઘી રહ્યા હતા. થોડાક સમય બાદ જ્યારે આગ ફેલાવવા લાગી ત્યારે હોટેલના અંદર રહેલા કર્મચારીઓમાં અને પ્રવાસીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. સાક્ષીઓએ વિગત આપતા કહ્યુ છે કે એક જોરદાર બ્લાસ્ટ બાદ આગ ફાટી નિકળી હતી. લોકો કઇ પણ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકો ફસાઇ ગયા હતા. ઉતાવળમાં લોકોએ તરત જ પોલીસ અને ફાયરબ્રિગેડને માહિતી આપી હતી. શરૂઆતમાં ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. થોડાક સમયમાં જ આગ હોટેલના બીજા માળ સુધી પહોંચી ગઇ હતી. ફાયરની અન્ય ટીમો અને ગાડીઓ પણ ત્યારબાદ પહોંચી ગઇ હતી. આગના કારણે કેટલાક લોકો બેભાન થઇ ગયા હતા. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે જમા થઇ ગયા હતા. કેટલાક લોકો બચાવ કામગીરીમાં પણ જોડાયા હતા.