નીતિ આયોગની આજે મહત્વપૂર્ણ બેઠક અનેક પ્રકારના વિવાદો વચ્ચે યોજાઈ હતી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા વડાપ્રધાન મોદી સામે મોરચો ખોલી દીધા બાદ આજે આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોદી ઉપરાંત દેશભરના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકબાજુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તેમના રાજ્ય માટે ખાસ દરજ્જાની માંગણી કરી હતી. બીજી બાજુ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પણ ખાસ રાજ્યના દરજ્જાની માંગ કરી હતી. આ બેઠક દરમિયાન નોટબંધી અને જીએસટીને લઇને પણ ચર્ચા થઇ હતી. મોદીએ વન નેશન વન ટેક્સને લઇને સપનાને સાકાર કરવા બદલ રાજ્યોની ભૂમિકાઓની પ્રશંસા કરી હતી. આંધ્રપ્રદેશના વિકાસ સાથે જોડાયેલા મુદ્દા ઉપર પણ નાયડુએ રજૂઆત કરી હતી. કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે ચંદ્રબાબુ નાયડુ પુરતી તૈયારી સાથે આવ્યા હતા. નાયડુએ બેઠકમાં સ્પષ્ટતા કરી હતી. નીતિશકુમારે પણ આજ મુદ્દો ઉઠાવ્યો હતો. ખાસ રાજ્યના દરજ્જા માટેની માંગણીને લઇને ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડી લીધો હતો. બિનભાજપ મોરચા બનાવવાના પ્રયાસમાં આંધ્રના મુખ્યમંત્રી હાલમાં સક્રિય દેખાઈ રહ્યા છે. નીતિશકુમાર પણ બિહારમાં રાજકીય દબાણ વચ્ચે ખાસ રાજ્યના દરજ્જાની માંગ કરી રહ્યા છે. નીતિ આયોગના અમિતાભ કાંતે કહ્યું હતું કે, વડાપ્રધાને પોતાના સંબોધનમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ ઉપરાંત અન્ય મુદ્દા ઉપર વાત કરી હતી. નીતિ આયોગે પછાત અને માંદા જિલ્લાઓની યાદી બદલીને ૧૦૧ જિલ્લાઓની યાદી તૈયાર કરી છે જેને હવે એસપી રેશનલ ડિસ્ટ્રીક્ટ નામ આપવામાં આવ્યું છે. કેટલાક માપદંડના આધાર પર તેમને પણ વિકાસની દોડમાં સામેલ કરવાની વાત થઇ રહી છે. ચંદ્રબાબુ નાયડુ અને નીતિશકુમારે ખાસ રાજ્યનો દરજ્જાનો મુદ્દો ઉઠાવ્યો હતો.