વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી માટે આજે બહુ મોટા અને ખુશીના સમાચાર આવ્યા હતા કે, પાટીદારોના ગઢ ગણાતા અમરેલી જિલ્લાની તમામ ૧૧ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પાર્ટીએ કબજો કરી લીધો હતો. અમરેલીમાં કોંગ્રેસના પંજાએ ભાજપના કમળને કચડી તેનો સફાયો કરી નાંખ્યો હતો અને તમામ બેઠક પર વિજય મેળવતાં કોંગ્રેસની છાવણીમાં ભારે ઉત્સાહ, ખુશી અને વિજયોત્સવના જશ્નનો માહોલ છવાયો હતો. તો બીજીબાજુ, કારમી હારથી ભાજપની છાવણીમાં સન્નાટો અને ગમીગીની પ્રસરી ગયા હતા. અમરેલી તાલુકા પંચાયતના પરિણામોને લઇ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને આ પરિણામોની ફટાકડા ફોડીને કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીની કુલ ૧૧ તાલુકા પંચાયતમાંથી પહેલા કોંગ્રેસ પાસે ૯ તાલુકા પંચાયત હતી અને ૨ તાલુકા પંચાયત પર ભાજપનું રાજ હતું, પરંતુ ભાજપ પાસેથી બે તાલુકા પંચાયત પણ આ વખતે કોંગ્રેસે આંચકી લીધી હતી અને તમામ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો પંજો છાપી દીધો હતો. ૧૧ તાલુકા પંચાયતમાંથી ૭ તાલુકા પંચાયત પર બિનહરીફ કોંગ્રેસના ઉમેદવારની પસંદગી થઈ હતી. જાફરાબાદ અને રાજુલા તાલુકા પંચાયત ભાજપ પાસે હતી, પરંતુ પરેશ ધાનાણી અને કોંગ્રેસના કાર્યકરોએ આ વખતે ભારે મહેનત કરીને આ બે બેઠકો પણ ભાજપ પાસેથી આંચકી લીધી હતી. રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી હતી. ભાજપના જ ૩ બળવાખોર સદસ્યોથી કોંગ્રેસ સત્તા પર આવી હતી. પ્રમુખ તરીકે બંસીબેન લાડુમોર અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન ધાખડાની નિમણૂક કરાઇ હતી. ભાજપના સદસ્યોએ તાલુકા પંચાયતની ચેમ્બરમાં ખલેલ પહોંચાડતા હંગામો થયો હતો. ચૂંટણી પ્રક્રિયામાં નવા જૂની થવાના એંધાણને પગલે પહેલેથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હંગામો વધતાં પોલીસે ભાજપના ૯ સદસ્યો અને ૩ કાર્યકરોની અટકાયત કરી હતી.
પાછલી પોસ્ટ