રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે એક વાહન નદીમાં ખાબકી જતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા અને અન્ય ૧૫થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે જેથી મોતનો આંકડો વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં પણ ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં તરત જ ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. ૧૦૮ને પણ જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે અનેક એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. વાહનમાં ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડની સાથે સ્થાનિક લોકો પણ મદદ માટે પહોંચ્યા હતા. મળેલી માહિતી મુજબ યુટીલીટી વાહનમાં ૧૯ લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ લોકો પાટણ જિલ્લાના એક જ કુંટુંબના હોવાનું જાણવા મળ્યું છે. તમામ લોકો સત્તાધાર દર્શન કરીને ચોટિલા તરફ જઇ રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરે કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. બેટીરામપરના પુલ ઉપર ચાલકે કાબુ ગુમાવી દીધો હતો જેથી આ વાહન ૭૦ ફૂટથી પણ ઉપરથી નદીમાં પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. મૃત્યુ પામેલા ચાર લોકોની ઓળખ છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી થઇ શકી ન હતી. પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર હાલના સમયની મોટી ઘટના તરીકે આને જોવામાં આવે છે. ડ્રાઇવરની બેદરકારી પ્રાથમિકરીતે સપાટી ઉપર આવી છે. બચાવી લેવામાં આવેલા લોકોની ઓળખ પણ થઇ શકી નથી. બચાવ અને રાહત કામગીરીમાં સ્થાનિક લોકો ખુબ જ મહેનતપૂર્વક આગળ આવ્યા હતા.
આગળની પોસ્ટ