અરવલ્લી જિલ્લાના ખાનપુર પાસે દેમગડા તીર્થધામ ખાતે મહીસાગર નદીમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો પાણીના પ્રવાહમાં ડૂબતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ફાયબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ત્રણ યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢયા હતા, જયારે અન્ય બે યુવકોની શોધખોળ જારી રખાઇ છે. જો કે, એકસાથે પાંચ યુવકો મહીસાગર નદીમાં ડૂબવાના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આજે પુરૂષોત્તમ માસની અગિયારસ હોવાથી નદીમાં સ્નાન કરવાનું અનન્ય મહાત્મ્ય હોવાથી અરવલ્લી જિલ્લાના ખાનપુર ખાતે દેમગડા તીર્થધામમાં મહીસાગર નદીમાં પણ લોકો સ્નાન કરી રહ્યા હતા ત્યારે આ જ જિલ્લાના માલપુર પાસેના ગોવિંદપુર ગામના વતની એવા પાંચ યુવકો પણ મહીસાગર નદીમાં ન્હાવા માટે પડયા હતા. જો કે, પાણીના ધસમસતા પ્રવાહમાં યુવકોએ સમતોલન ગુમાવતાં એક પછી એક પાંચેય યુવાનો પાણીમાં તણાયા હતા અને ડૂબ્યા હતા. આ જોઇ સ્થળ પર હાજર લોકોએ યુવકોને ડૂબતા જોઇ બૂમરાણ મચાવી હતી અને કોઇએ તાત્કાલિક ફાયરબ્રિગેડ વિભાગને પણ જાણ કરી હતી. જો કે, ફાયરબ્રિગેડના જવાનો આવે તે પહેલાં ગોઝારી ઘટના ઘટી ગઇ હતી.
ફાયબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ નદીના પાણીમાંથી ત્રણ યુવકોના મૃતદેહને બહાર કાઢયા હતા, જયારે અન્ય બે યુવકોને શોધવાના પ્રયાસો જારી રખાયા હતા. જો કે, પાંચ યુવકો મહીસાગર નદીમાં ડૂબ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, માલપુર પંથક અને મૃતક યુવકોના ગામ ગોવિંદપુરમાં તો ભારે શોક અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.