શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની સીધી અસર રહી શકે છે. મોનસુનની પ્રગતિ, વૈશ્વિક ઘટનાક્રમ, સ્થાનિક માઇક્રો ડેટા, અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે યોજાનારી શિખર મંત્રણા, ત્રણ મોટી સેન્ટ્રલ બેંકો દ્વારા પોલિસી સમીક્ષાના આંકડા સહિતના જુદા જુદા પરિબળોની અસર જોવા મળનાર છે. સ્થાનિક પરિબળો પણ અસર કરશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ૧૨મી જૂનના દિવસે ઐતિહાસિક શિખર બેઠક ઉત્તર કોરિયાના નેતા સાથે યોજાનાર છે. બીજી બાજુ સરકાર મંગળવારના દિવસે એપ્રિલ ૨૦૧૮ માટેનો ઇન્ડસ્ટ્રીય પ્રોડ્ક્શન ડેટા જાહેર કરનાર છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો માર્ચમાં ૪.૪ ટકાની આસપાસ નોંધાયો હતો. આ ઉપરાંત મે ૨૦૧૮ માટેના હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા ૧૪મી જૂનના દિવસે ગુરુવારના દિવસે જાહેર કરવામાં આવશે. વાર્ષિક હોલસેલ પ્રાઇઝ ફુગાવો એપ્રિલ મહિનામાં વધીને ૩.૧૮ ટકા હતો જે માર્ચ મહિનામાં ૨.૪૭ ટકા હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મંગળવાર અને બુધવારના દિવસે મળનાર છે. બુધવારે બેઠકના પરિણામ જાહેર થશે. યુરોપિયન સેન્ટ્રલ બેંકની પોલિસી બેઠક ગુરુવારના દિવસે યોજાશે જ્યારે બેંક ઓફ જાપાન દ્વારા શુક્રવારના દિવસે તેના પરિણામ જાહેર કરવામાં આવશે. શેરબજારમાં શુક્રવારના દિવસે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૯ પોઇન્ટ ઘટીને ૩૫૪૪૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી એક પોઇન્ટ ઘટીને ૧૦૭૬૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો. એમપીસીએ પોલિસી વલણ તટસ્થ રાખ્યું હતુ. આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો અથવા તો યથાવત રાખવામાં આવી રહ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરાયો હતો.
પાછલી પોસ્ટ