ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગેની આગાહી કરવામાં આવી છે, જેમાં ચોમાસું ૧૫મી જૂને બેસશે તેમ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં સામાન્ય કરતાં ત્રણ દિવસ વહેલું એટલે કે ૨૯મી મેના રોજ ચોમાસુ બેસશે. જ્યારે સામાન્ય રીતે તે બીજી જૂને બેસતું હોય છે.હાલમાં અરબી સમુદ્રમાં વરસાદની પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન અને વાવાઝોડા સક્રીય થઈ રહ્યાં છે ત્યારે આગામી ૪૮ કલાકમાં જ વાવાઝોડું સક્રિય બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ગરમીનો કહેર વધે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ તાપમાન ૪૨ ડિગ્રીથી ૪૪.૫ ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેને પગલે અમદાવાદમાં યલ્લો-ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને ગરમીમાં વધુંને વધું પાણી પીવા સલાહ આપવામાં આવી છે.