શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલ બજારમાં ગઇકાલે ધોળા દહાડે એક પરિણીતાના મોંઢા પર તેનો પ્રેમી આડેધડ છરીઓના ઘા ઝીંકીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. તું કેમ મારી સાથે રહેતી નથી, તારા પતિ સાથે રહેવા માટે કેમ જતી રહી એવું કહીને પ્રેમીએ પરિણીતાના માેંઢા પર છરીઓના ઘા ઝીંકી દીધા હતા, જેને પગલે પરિણીતાને ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સરદારનગર પોલીસે સમગ્ર બનાવ અંગે આરોપી પ્રેમી રોહન સાહુ વિરૂધ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના કુબેરનગરમાં રહેતી એક પરિણીતા સ્થાનિક બજારની એક દુકાનમાં નોકરી કરવા માટે જતી હતી, જયાં તેને રોહન સાહુ નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. બન્ને વચ્ચે પ્રેમ એ હદે વધી ગયો કે ગંગાબહેન તેમના પિતા અને પુત્રને મૂકીને પ્રેમી રોહન સાથે તા.૧૬ મી ડિસેમ્બર, ર૦૧૭ના રોજ કાનપુર ભાગી ગયાં હતાં. બે મહિના રોહન સાથે રહ્યા બાદ પરિણીતા તેના પતિ અને પુત્રની યાદ આવતાં તે પ્રેમી રોહનને છોડીને તેમના ઘરે પરત આવ્યાં હતાં. છેલ્લા ત્રણ મહિનાથી પરિણીતા રોહન સાથેનો સંબંધ તોડીને તેમના પરિવાર સાથે રહેતાં હતાં. ગઇકાલે પરિણીતા નોકરી પર ગઇ ત્યારે રોહને તું કેમ મારી સાથે રહેતી નથી, તારા પતિ સાથે રહેવા માટે કેમ જતી રહી તેમ કહીને પરિણીતાના ગાલ પર ઉપરાછાપરી છરીઓના ઘા માર્યા હતા અને બાદમાં ત્યાંથી ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં પરિણીતાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એટલું જ નહી, પરિણીતા પર હુમલો કર્યા બાદ પ્રેમીએ તેના પતિને ફોન કરીને કહ્યું હતું કે વો જિન્દા હૈ કી મર ગઇ હૈ, જીતની બાર બચેગી ઇતની બાર મારુંગા. પતિને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સરદારનગર પોલીસે આ સમગ્ર મામલે આરોપી પ્રેમી રોહન સાહુ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધ્યો છે.
આગળની પોસ્ટ