ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.ગુજરાતનુ પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સેમેસ્ટર પ્રથાને રદ કરવામાં આવ્યા બાદ ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાનુ પરિણામ પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યુ છે. આ વખતે પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ આગળ રહી છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ સરખામણી કરવામાં આવે તો ૭૧.૮૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ૭૪.૯૧ ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. આનો મતલબ એ થયો કે, વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થીનીઓ ખુબ આગળ રહી છે. આ વખતે નોંધાયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૮૪૧૩૦ રહી હતી અને વિદ્યાર્થીનીઓની સંખ્યા ૫૦૩૦૯ રહી હતી. આવી જ રીતે પરીક્ષામાં ૮૪૦૭૬ વિદ્યાર્થીઓ અને ૫૦૨૭૬ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા તે પૈકી ૬૦૪૦૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે વિદ્યાર્થીનીઓની વાત કરવામાં આવે તો પાસની સંખ્યા ૩૭૬૬૩ નોંધાઈ છે. ઉપસ્થિત રહેલા ઉમેદવારો સામે ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલા ઉમેદવારોની ટકાવારીની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓની ટકાવારી ૭૧.૮૪ ટકા અને વિદ્યાર્થીનીઓની ૭૪.૯૧ ટકા રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય્મિક દ્વારા માર્ચમાં પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. ધોરણ ૧૨નું પરિણામ જાહેર થયા બાદ માર્કશીટ, પ્રમાણપત્ર તથા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળ પર સવારે ૧૧ વાગ્યાથી ચાર વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. આ વખતે ધારણા પ્રમાણે જ વધુ સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. જો કે, ગયા વર્ષની સરખામણીમાં પરિણામ ઓછુ રહ્યું છે. પરિણામ ઓછું રહેવા માટે કોઇ કારણો નક્કર દેખાતા નથી પરંતુ કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે, કેટલાક વિષયના પેપર આ વખતે પ્રમાણમાં મુશ્કેલ આવ્યા હતા જેના લીધે જ ઘણા વિદ્યાર્થીઓ સ્કોર કરી શક્યા નથી પરંતુ પાસની ટકાવારી પણ આ વખતે પણ ૭૨.૯૯ ટકા છે જે એકંદરે ઓછી કહી શકાય તેમ નથી.