દેશમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર અને પક્ષપાત વિરૂદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર ગઇકાલે એક દિવસીય ઉપવાસ પર બેઠા હતા. ત્યારે ઉપવાસ પહેલા કોંગ્રેસી નેતા અરવિંદર સિંહ લવલી અને હારૂન યૂસુફ છોલે ભટૂરે ખાતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે અજય માકન અને અન્ય કેટલાક નેતાઓ પણ હાજર હતાં. દલિતોનાં મુદ્દા પર કોંગ્રેસનાં હુમલાઓનો સતત સામનો કરી રહેલ બીજેપીને આ ફોટાએ પલટવાર કરવાનો મોકો આપ્યો હતો.કોંગ્રેસે સાંપ્રદાયિક સંવાદિતા માટે ઉપવાસની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીનો ઉપવાસ શરૂ થયો તેના થોડા સમય બાદ જાણ થઇ હતી કે કોંગ્રેસ નેતાઓ નાસ્તો કર્યા બાદ ઉપવાસ માટે આવ્યા હતા. રાજઘાટ પર બેઠેલા અન્ય કોંગ્રેસ નેતાઓને પણ આ વિશે જાણવા મળ્યું હતું. તેથી પછી કોંગ્રેસ નેતાઓએ અલગ રીતે વાત કરવાનું શરૂ કર્યું હતું. કેટલાક નેતાઓએ કહ્યું હતું કે કડવા ચૌથ ઉપવાસ કરતા પહેલાં મહિલાઓ પણ સવારે ખાય છે. બધા લોકો આમ કરે છે, તેમાં શું ખોટું છે. આ અંગે લવલીએ કહ્યું કે ઉપવાસ સવારે દસ વાગ્યે હતો. તેઓ મોડી રાત સુધી તૈયારીમાં વ્યસ્ત હતા. સવારે લગભગ આઠ વાગે તેઓ નાસ્તો કરવા ગયા હતા. તેમાં કંઈ ખોટું નથી.અત્યાર સુધી, કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પકોડાના વેચાણ પર ભાજપ પર પ્રહાર કરતી હતી. પરંતુ સોમવારે પરિસ્થિતિ બદલાઈ હતી. ભાજપની આ પ્રકારની ચર્ચા બાદ વાત સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બની હતી. થોડા દિવસો પહેલાં, પકોડા ચર્ચામાં હતા. ત્યારે હવે સોમવારે છોલે ભટૂરે પર રાજકારણ શરૂ થયું છે.ભાજપના નેતા હરીશ ખુરાના એક ફોટો ટિ્વટ કર્યો હતો જેમાં એક રેસ્ટોરન્ટમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય માકન, અરવિંદ સિંહ લવલી, હારૂન યુસુફ સહિત અન્ય નેતાઓ નાસ્તો કરતા નજરે પડ્યા હતા. ખુરાનાએ ટિ્વટ કરતા કહ્યું કે વાહ, કોંગ્રેસ નેતા! તેમણે લોકોને ઉપવાસમાં બોલાવ્યો, પરંતુ તેઓ પોતે રેસ્ટોરન્ટમાં જઇને જમી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાસ્તા દરમિયાન હાજર રહેલા લોકોમાંથી એક વ્યક્તિએ ફોટો લીધો હતો અને બાદમાં ફોટો શેર કર્યો હતો, જે ભાજપના નેતા સુધી પહોંચ્યો હતો. આ અંગે દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને જણાવ્યું કે અમારો કાર્યક્રમ પહેલેથી જ નક્કી હતો. આ ઉપવાસ સાંકેતિક હતો. ઉપવાસ પહેલાં અમે ક્યાં અને શું ખાધું તે મહત્વનું ન હતું. મહત્વપૂર્ણ અમારો મુદ્દો હતો.’