એસસી-એસટી એક્ટને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામેના વિરોધમાં સોમવારના દિવસે ભારત બંધ રાખ્યા બાદ તેની હિંસાની અસર હજુ પણ જોવા મળી રહી છે. દલિત સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધ દરમિયાન બેકાબુ થયેલી સ્થિતી હજુ કાબુમાં આવી નથી. ગ્વાલિયર, ભિંડ અને મુરૈનામાં હજુ પણ સંચારબંધી અમલી છે. આમાં આજે બે કલાકની રાહત આપવામાં આવી હતી. જે દરમિયાન લોકોએ જીવન જરૂરી ચીજોની ખરીદી કરી હતી. આ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ છે. મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ દલિત સંગઠનો હાલમાં તો ભલે માર્ગો પરથી પરત ફર્યા છે પરંતુ સાથે સાથે આ લોકોએ સરકારને ચેતવણી પણ આપી દીધી છે. દલિત સંગઠનોનુ કહેવુ છે કે જો સમાજના બંધારણીય અધિકારો સાથે જોડાયેલા મુદ્દાને ૧૫મી ઓગષ્ટ સુધી ઉકેલવામાં નહીં આવે તો તેઓ ફરી એકવાર જાહેર માર્ગો પર ઉતરશે. પ્રદર્શન બાદ મિડિયા સાથે વાતચીત કરતા દલિત સંગઠનોના નેતાઓએ કહ્યુ હતુ કે હિંસા માટે ભાજપના લોકો જવાબદાર છે. જે હિંસાગ્રસ્ત કેટલાક રાજ્યોમાં સત્તામાં છે. દલિત કાર્યકરોએ કહ્યુ છે કે અમે હિંસાની નિંદા કરીએ છીએ પરંતુ ભાજપના કાર્યકરો આના માટે જવાબદાર છે. તેઓ દલિત સમાજને તથા તેમના લોકશાહી આંદોલનને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ દલિત આંદોલન બાદ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે સોમવારના દિવસે ભારત બંધ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં વ્યાપક હિંસા થઇ હતી. આ હિંસામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. સાત રાજ્યોમાં સૌથી માઠી અસર જોવા મળી હતી. ભારત બંધ હિંસક બન્યા બાદ હિંસામાં નવ લોકોના મોત થયા હતા જે પૈકી મધ્ય પ્રદેશમાં પાંચ અને રાજસ્થાનમાં એક વ્યક્તિનું મોત થયા હતા. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સામાં પણ વ્યાપક હિંસા થઈ હતી. સોમવારના દિવસે હિંસા બાદ ગ્વાલિયરમાં ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે જ્યારે ભીંડ, મોરેના, બાલાઘાટ અને સાગરમાં ઇન્ટરનેટ સેવા હજુ પણ બંધ છે. ગ્વાલિયર, ભીંડ અને મોરેનામાં સવારે ૧૦ વાગ્યાથી લઇને બપોરે બે વાગ્યા સુધી સંચારબંધીમાં રાહત આપવામાં આવી હતી. કેટલાક અન્ય જિલ્લાઓમાં કલમ ૧૪૪ અમલી કરવામાં આવી છે. રાજસ્થાનના કરોલી જિલ્લાના હિન્ડોલમાં અમલી સંચારબંધી આજે બપોર સુધી જારી રહી હતી.
સ્થિતિ સામાન્ય બન્યા બાદ લોકોને રાહત થઇ છે પરંતુ ઇન્ટરનેટ સેવા હજુ બંધ રાખવામાં આવી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંને જગ્યાએથી મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે. એકલા મોરેનામાં ૫૦થી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પટણા-કોટા એક્સપ્રેસને આજે રદ કરવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારના દિવસે દોડનાર કોટા-પટણા એક્સપ્રેસને પણ રદ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં ભારત બંધ દરમિયાન થયેલી હિંસામાં સાત લોકોના મોત થયા હતા જ્યારે ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. ૬૪થી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. ૩૦થી વધુ કેસો દાખલ કરવામાં આવી ચુક્યા છે. બીજી બાજુ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બેઠકોનો દોર યોજી રહ્યા છે. તોફાની તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. રાજસ્થાનમાં પણ આવી જ સ્થિતિ સર્જાયેલી છે. ગ્વાલિયરમાં ૫૦૦થી પણ વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ભારત બંધને લઇને આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. રાજનીતિ થઇ રહી છે. સમગ્ર મામલામાં કોંગ્રેસ પાર્ટીએ સંઘ અને બજરંગ દળ ઉપર હિંસા ફેલાવવાનો આક્ષેપ કર્યો છે.
આગળની પોસ્ટ