અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સમજૂતિની ફોર્મ્યુલા આપનાર મૌલાના સઇદ સલમાન હુસૈની નદવીને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. મૌલાના નદવીએ થોડાક દિવસ પહેલા જ આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરની સાથે બેંગ્લોરમાં બેઠક યોજી હતી. બેઠક બાદ અયોધ્યા વિવાદને ઉકેલવની ફોર્મ્યુલા પણ આપી હતી. તેમના સૂચનથી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યો નાખુશ હતા. તેમની સામે શિસ્તની કાર્યવાહી કરવા માટે ચાર સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે શુક્રવારના દિવસે જ હૈદરાબાદમાં પોતાની બોર્ડ મિટિંગમાં નદવીની ફોર્મ્યુલાને ફગાવી દેવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય કાસીમ ઇલિયાસે મૌલાના નદવીને કાઢી મુકવાની જાહેરાત કરી હતી. આજે બપોરે તેઓએ કહ્યું હતું કે, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પોતાના જુના વલણ પર મક્કમ છે. મસ્જિદને કોઇને ગિફ્ટ આપી શકાય નહીં અથવા તો વેચી શકાય નહીં. સાથે સાથે તેને શિફ્ટ કરી શકાય નહીં. સલમાન નદવી આ એકમત વલણથી અલગ વલણ ધરાવતા હતા જેથી તેમને બોર્ડમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની કાર્યવાહીથી પહેલા મૌલાના નદવીએ કહ્યું હતું કે, તેઓ અયોધ્યા વિવાદના ઉકેલ માટે પ્રયાસ કરી રહ્યા છે. શ્રીશ્રીને ૨૦મી ફેબ્રુઆરીના દિવસે અયોધ્યામાં બંને પક્ષોની મિટિંગ માટે અપીલ પણ કરી હતી. મૌલાના નદવીને વિવાદાસ્પદ સ્થળ પર મંદિર અને કોઇ અન્ય જગ્યા પર મસ્જિદ બનાવવાને લઇને ત્રણ સૂચન કર્યા હતા. આ ત્રણ સૂચન તેમને ભારે પડ્યા છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા અન્ય લોકોએ તેમની દલીલોને ફગાવી દીધી હતી. પર્સનલ લો બોર્ડની હૈદરાબાદમાં શુક્રવારના દિવસે ત્રણ દિવસીય બેઠક શરૂ થઇ હતી. બોર્ડ મિટિંગમાં મૌલાના નદવીની વ્યાપક ટિકા થઇ હતી અને તેમના ઉપર આક્ષેપો મુકવામાં આવ્યા હતા. સમગ્ર મામલામાં ૧૪મી માર્ચના દિવસે આગામી સુનાવણી થનાર છે. કોર્ટથી બહાર પારસ્પરિક વાતચીત મારફતે વિવાદને ઉકેલવાના પ્રયાસ હેઠળ બેંગ્લોરમાં શ્રીશ્રી રવિશંકર અને મૌલાના વચ્ચે ત્રણ વિકલ્પો ઉપર ચર્ચા થઇ હતી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા તેમની હકાલપટ્ટી કરવાની માંગણી હાલમાં વધુ મજબૂત બની હતી. કારણ કે, મૌલાનાએ અન્યોની વાતને ધ્યાનમાં લીધા વગર પોતાના તરફથી સ્પષ્ટ રજૂઆત કરી દેવામાં આવી હતી.