ચીનમાં વિનાશકારી ભૂકંપ બાદ આફ્ટરશોક્સનો દોર જારી રહ્યો છે. લોકોમાં વ્યાપક દહેશત વચ્ચે મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાની કામગીરી ચાલી રહી છે. હજુ સુધી ૬૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છ. પ્રચંડ ધરતીકંપના કારણે ખોરવાઇ ગયેલા પુરવઠાને સ્થાપિત કરવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે. મધ્ય ચીનના એક પહાડી વિસ્તારમાં ગઇકાલે સવાર ૬.૫ની તીવ્રતા સાથે પ્રચંડ ભૂકંપનો આંચકો આવ્યો હતો. હજુ સુધી ૨૦ લોકોના મોતના હેવાલને સમર્થન મળ્યુ છે. જ્યારે સત્તાવાર રીતે ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૩૫૦ દર્શાવવામાં આવી છે. જે પૈકી મોટા ભાગના ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે. યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા કહેવામાં આવ્યુ છે કે સિચુઆન પ્રાંતમાં જે હિસ્સામાં આંચકો આવ્યો હતો તે ઓછા વસ્તીવાળા વિસ્તાર તરીકે છે. ભૂકંપનુ કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટર નીચે હોવાનુ જાણવા મળ્યુ હતુ. ધરતીકંપના કારણે શ્રેણીબદ્ધ મકાનો અને ઇમારતો ઘરાશાયી થઇ ગઇ હતી. ૧૩ હજારથી વધારે મકાનોને નુકસાન થયુ છે. સમાચાર સંસ્થાએ માહિતી આપતા કહ્યુ છે કે ૨૦૧૦માં કરવામાં આવેલી વસ્તી ગણતરીના આંકડાના આધાર પર આ વાત કરવામાં આવી રહી છે. સિચુઆન પ્રાંતની સરકારે માહિતી આપતા કહ્યુ છે કે ભેખડો ધસી પડવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસી ફસાઇ ગયા છે. જે પૈકી કોઇના મોત થયા હોવાની માહિતી હજુ સુધી મળી નથી. ગઇકાલે ભૂકંપનો આંચકો ભારતીય સમય મુજબ વહેલી પરોઢે ૧.૨૦ વાગે આવ્યો હતો. જે જગ્યાએ આંચકો આવ્યો હતો ત્યાં વર્ષ ૨૦૦૮માં ૮ની તીવ્રતા સાથે આંચકો આવ્યો હતો. જેમાં ૮૭૦૦૦ લોકોના મોત થયા હતા અથવા તો લાપતા થઇ ગયા હતા.