જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી હિંદુઓને પણ પ્રધાનમંત્રી યોજનાઓ અને સરકારી યોજનાઓ હેઠળ સુવિધાઓ આપવાની માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટ પર નારાજગી વ્યક્ત કરી છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે શું આ એફિડેવિટ કોર્ટની મજાક ઉડાડવા માટે છે? બેઠક નહીં થવાની પાછળ અમરનાથ યાત્રા અને કાયદો-વ્યવસ્થાને ટાંકવી વિનાશકારી બાબત છે. સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ જમ્મુ-કાશ્મીર સરકારે એફિડેવિટ પાછું ખેંચ્યું હતું. સુપ્રીમ કોર્ટે રિપોર્ટ દાખલ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારને ત્રણ માસનો સમય આપ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની બેઠક નહીં થવાના મામલે કોર્ટ નારાજ છે. ગત સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આ મુદ્દાને લઈને કેન્દ્ર સરકારના લઘુમતી વિભાગના સચિવ અને જમ્મુ-કાશ્મીરના ચીફ સેક્રેટરીની આગેવાનીમાં સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી છે.આ કમિટી લઘુમતીઓના મુદ્દા પર વિચાર કરીને રિપોર્ટ તૈયાર કરશે. જેથી તેમને થોડો સમય આપવામાં આવે. આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર સરકાર સાથે બેસીને નક્કી કરવું જોઈએ કે શું જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમો લઘુમતી છે કે નથી? તેમને આને ધ્યાનમાં રાખીને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ કે નહીં? સુપ્રીમ કોર્ટે ક્હ્યું હતું કે ૪ સપ્તાહમાં સરકાર નિર્ણય લે.મહત્વપૂર્ણ છે કે અંકુર શર્માએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં હિંદુ લઘુમતી છે અને મુસ્લિમ બહુમતી છે. તેમ છતાં રાજ્યમાં ૬૮ ટકા મુસ્લિમો જ લઘુમતી હેઠળ લાભ મેળવી રહ્યા છે. હકીકતમાં જમ્મુ-કાશ્મીર ખાતે હિંદુઓને આ જોગવાઈઓ હેઠળની સુવિધાઓ મળવી જોઈએ.અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગત ૫૦ વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં લઘુમતીઓને લઈને કોઈ ગણતરી થઈ નથી અને લઘુમતી પંચની પણ રચના થઈ નથી. અરજદારે જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી પંચની રચનાની માગણી કરી છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે નોટીસ જાહેર કરીને કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યા હતા.