જામનગરના એક મહિલાએ પોતાના સસરા સામે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કર્યા પછી આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે નકારી કાઢી છે. કોરોના કાળમાં સસરાએ તેણીની એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જામનગરના કેતન સોસાયટી વિસ્તારમાં રહેતા કિરીટભાઈ કાનજીભાઈ ખેતાણી નામના વૃદ્ધ સામે તેમના પુત્રવધૂએ છેલ્લા એક વર્ષમાં ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેણીએ જણાવ્યા મુજબ આ મહિલાના પતિ બહારગામ ચાલ્યા ગયા હોય અને તે પછી આ મહિલાના પુત્ર સાથે સાસુ, સસરા જામનગર રોકાવા આવ્યા હતા અને ગયા વર્ષે લોકડાઉન વખતે સાસુ સુરત ચાલ્યા જતા એક રાત્રીએ ટાંકામાં પાણી નથી તેમ કહી પુત્રવધૂને મકાનના નીચેના ભાગમાં લઈ જઈ સસરાએ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી ચારથી પાંચ વખત ધમકી આપી સસરાએ તેણીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. આ આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરતા સરકાર પક્ષ સાથે જોડાયેલા મૂળ ફરિયાદીના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
આગળની પોસ્ટ