વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના પ્રવાસે છે. આ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં બે મોટી આતંકી ઘટના બની છે. એક તરફ જમ્મુના સુંજવા વિસ્તારમાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે જેમાં બે આતંકીઓને સેનાએ ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા.
આ સિવાય આખી કાર્યવાહીમાં CISFના ASI એસપી પટેલ શહીદ થયા છે જ્યારે 6 ઘાયલ થયા છે. ઘાયલ જવાનોની ઓળખ હેડ કોંન્સ્ટેબલ બલરાજ સિંહ, એસપીઓ સાહિલ શર્મા, હેડ કોન્સ્ટેબલ પ્રમોદ પાત્રા, કોન્સ્ટેબલ આમિર સોરન, કોન્સ્ટેબલ બિટ્ટલ અને હેડ કોન્સ્ટેબલ એસકે બાલિયાનના રૂપમાં થઇ છે. ઘાયલ જવાનોને જમ્મુની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સીનિયર પોલીસ અધિકારીએ કહ્યુ કે ગુપ્ત સૂચના પર કાર્યવાહી કરતા જમ્મુ કાશ્મીર પોલીસના વિશેષ અભિયાન જૂથ અને અર્ધસૈનિક દળોએ શુક્રવારે સુંજવા સેન્ય સ્ટેશન પાસે જલાલાબાદ વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કર્યુ હતુ. સવારે 3.45 વાગ્યે એક ઘરની અંદર છુપાયેલા આતંકવાદીઓએ તપાસ દળ પર ગોળી વરસાવી હતી. સેનાએ પણ જવાબમાં ફાયરિંગ કર્યુ હતુ જે બાદ અથડામણ શરૂ થઇ હતી.
CISF જવાનોની બસ પર આતંકીઓએ ફાયરિંગ કર્યુ
આ સિવાય જમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે સીઆઇએસએફ જવાનોની એક બસ પર આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતુ. આ હુમલાનો જવાનોએ તુરંત જવાબ આપ્યો હતો અને આતંકી ભાગી ગયા હતા પરંતુ આ પહેલા થયેલી ફાયરિંગમાં ગોળી લાગતા એક એએસઆઇનું મોત થયુ હતુ.
બારામુલ્લામાં પણ અથડામણ
જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં પણ ગુરૂવારે સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલી અથડામણ ચાલુ છે. સેનાએ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાંડર યૂસુફ કાંતરૂ સહિત ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે.