મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાના યુવી વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતને લઇને મોટું નિવેદન આપ્યું છે. સુનીલ ગવાસ્કરે ભવિષ્યવાણી કરી છે કે, ઋષભ પંત ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હશે. શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં પંતે આઇપીએલ-૧૪માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી. તેની કેપ્ટનશિપમાં દિલ્હીએ ૮માંથી ૬ મેચોમાં જીત મેળવી અને ટોપ પર પહોંચી હતી.પંતની કેપ્ટનશિપથી ગાવસ્કર પ્રભાવિત છે. તેમણે કહ્યું કે, પંતમાં શીખવાની ભૂખ છે. ગાવસ્કરે ઋષભ પંતની નાની ભૂલોનો બચાવ કરતાં કહ્યું કે, યુવા ખેલાડીએ ટૂર્નામેન્ટમાં ઝલક બતાવી છે અને ધીરજ સાથે તેણે કેપ્ટનશિપ કરી તો વધુ સફળ થશે.ગાવસ્કરે સ્પોર્ટસ્ટારમાં પોતાની કોલમમાં લખ્યું કે, ઋષભ પંતના નેતૃત્વમાં દિલ્હી ટૂર્નામેન્ટની સૌથી શ્રેષ્ઠ ટીમ રહી. છઠ્ઠી મેચ બાદ આપણે જોયું કે તે સતત કેપ્ટનશિપ પર કરાતાં સવાલથી થાકી ગયો હતો. મેચ બાદ દરેક પ્રેઝેન્ટરે તેને એક જ પ્રકારના સવાલ કર્યા. તેણે જે બતાવ્યું તે સ્પાર્ક છે, જે આગ બનવા માટે તૈયાર છે. જો તેને પરવાનગી મળે તો. હા, તેણે ભૂલો કરી. કયો કેપ્ટન નથી કરતો? પૂર્વ ભારતીય કેપ્ટને આગળ લખ્યું કે, પંત ભવિષ્યનો કેપ્ટન છે. તેમાં કોઇ શંકા નથી. કેમ કે, તેણે બતાવ્યું કે પ્રતિભા તકથી ત્યારે જ મળી શકે છે, જ્યારે તે સુધારા સાથે સરખી રીતે ચાલે. પંતે આઇપીએલ-૧૪માં પોતાની કેપ્ટનશિપથી તો પ્રભાવિત કર્યાં જ છે, પરંતુ તેની બેટિંગ પણ સારી રહી છે. તેણે ૮ મેચોમાં ૩૫થી વધુની સરેરાશથી ૨૧૩ રન કર્યા હતા. તે પહેલાં પંતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીતમાં તેનું મહત્વનું યોગદાન રહ્યું હતું.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ