ઇન્ફોસિસ કંપનીના સંસ્થાપકોમાંથી એક એન.આર. નારાયણ મૂર્તિએ જણાવ્યું છે કે તેમને ૨૦૧૪માં કંપનીના ચેરમેનનું પદ છોડવાનો અફસોસ છે અને આ તેમના જીવનનો સૌથી મોટો અફસોસ છે. નારાયણ મૂર્તિએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે એ સમયે મારે બીજા સહ સંસ્થાપકોની વાત સાંભળવી જોઈએ હતી અને મારા પદ પર કામ કરવાનું ચાલુ રાખવું જોઈતું હતું.નારાયણ મૂર્તિએ કહ્યું છે કે તેઓ રોજ ઇન્ફોસિસ પરિસરમાં જવાનું નથી ભુલતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં મૂર્તિ તેમજ કંપનીના પ્રવર્તમાન મેનેજિંગ ડિરેક્ટર વિશાલ સિક્કા વચ્ચે કંપનીના કામકાજના સંચાલન મુદ્દે વિવાદ જોવામાં આવ્યો હતો.
ચેરમેન પદ છોડવાના પર્સનલ અને પ્રોફેશનલ નિર્ણય પર નારાયણ મૂર્તિએ જણાવ્યું છે કે ૨૦૧૪માં મારા કેટલાક સંસ્થાપક સહયોગીઓએ મને આટલા જલ્દી ઇન્ફોસિસ ન છોડવાની અને થોડો વધારે સમય અહીં ગાળવાની સલાહ આપી હતી.નારાયણ મૂર્તિએ કહ્યું છે કે હું સામાન્ય રીતે બહુ ભાવુક પ્રકારની વ્યક્તિ છું. મારા મોટાભાગના નિર્ણયો આદર્શવાદ પર આધારિત હોય છે. એ સમયે મારે કદાચ મારા સહયોગીઓની વાત માની લેવાની જરૂર હતી.