અબડાસાના નુંધાતડ ગામે જિલ્લા કલેક્ટરે વરસાદમાં થયેલા નુકસાનનો ચિતાર મેળવ્યો હતો. કલેક્ટર સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિતના લોકોએ પણ સ્થળની મુલાકાત લીધી હતી.નુંધાતડ ગામમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા,તો સાથે જ અનેક રસ્તાઓ પણ ધોવાયા હતાં તો જુણપીર ડેમમાં ભંગાણ સર્જાયુ હતું. ભારે વરસાદના કારણે અનેક પશુઓના મૃત્યુ પણ થયાં હતાં. આ સિવાય વરસાદના કારણે અનેક પરિવારોને અસર પણ પહોંચી હતી અને જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું હતું.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને ઘરવખરીને નુકશાની તેમ જ કેશડોલ્સ માટે ખેતીના પાકને થયેલ નુકશાની અંગે વિગતો મેળવી હતી. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ ખેડૂતોને વધારે પડતું નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું. જિલ્લા કલેકટર રેમ્યા મોહને મુખ્યત્વે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સૌપહેલાં કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં. વરસાદ બાદ પરિસ્થિતિનો ચીતાર મેળવવા આવેલાં કલેક્ટરને લોકોએ રોડ,રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક જરૂરિયાતો અંગે તાકીદે પગલા લેવાં નિવેદન કર્યુ હતું.