અમદાવાદથી અમારા સંવાદદાતા મનીષ પ્રધાન જણાવે છે કે, ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોની આવક વર્ષ – ૨૦૨૨ મા બમણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેને સુપેરે પાર પાડવાના ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘’સાત પગલાં ખેડૂત કલ્યાણ’’ અંતર્ગત વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામા આવેલ છે. વાવણીથી કાપણી અને વેચાણ સુધીની ખેડૂત કલ્યાણની અનેક યોજનાઓ અમલી બનાવીને રાજય સરકાર ખેડૂત અને ખેતીનું જતન અને સંવર્ધન કરી રહી છે.
‘’સાત પગલા ખેડૂત કલ્યાણ’’ અંતર્ગત એવા ફળ, શાકભાજી, ફૂલપાકો તથા નાશવંત ખેતીપેદાશોનું લારી લઈને રોડ પર વેચાણ કરતા વેપારીઓ અને લારીધારકો, ફેરિયાઓને વિનામૂલ્યે છત્રીનું વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ૯ તાલુકા અને અમદાવાદ મહાનગરપાલિકામાથી આવેલ અરજી મુજબ કુલ – ૨૬૩૨ જેટલી છત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. જેનો મૂળ હેતું છે કે ફેરિયાઓની શાકભાજી, ફળ અને અન્ય વસ્તુઓનો આકરા તાપમાં બગાડ થતો અટકે તેમ અમદાવાદ નાયબ બાગાયત નિયામકશ્રી જે. આર. પટેલે જણાવ્યું હતું.