ટીમ ઇન્ડિયાના નવા નિમાયેલા હેડકોચ રવિ શાસ્ત્રીના વાર્ષિક પગાર પર હવે ચર્ચા છેડાઈ ગઈ છે. સુત્રોની વાત ઉપર વિશ્વાસ કરવામાં આવે તો રવિ શાસ્ત્રીને કોચ તરીકે ૭.૫ કરોડ રૂપિયા વાર્ષિક મળશે. બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, શાસ્ત્રી સાત કરોડ રૂપિયા આપવામાં આવશે. શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ અનિલ કુંબલેને મે મહિનામાં આપવામાં આવેલી રજૂઆત દરમિયાન પોતાના પગાર તરીકે આટલી જ રકમ આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ અગાઉ રવિ શાસ્ત્રી જ્યારે ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર તરીકે હતા ત્યારે પણ શાસ્ત્રીને ૭થી ૭.૫ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવતી હતી. આમા શાસ્ત્રીને મળનાર એવા વળતરની રકમ પણ સામેલ હતી જે મિડિયામાં નિવેદનથી દૂર રહેવાના બદલે મળતી હતી. શાસ્ત્રીની સાથે કામ કરનાર કોર સપોર્ટ સ્ટાફ અથવા તો બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચને બે કરોડ રૂપિયા વાર્ષિકથી વધારે મળશે નહીં. એટલે કે રાહુલ દ્રવિડ, ઝહીર ખાનને પણ રવિ શાસ્ત્રી કરતા ઓછા પૈસા મળશે. અધિકારીએ કહ્યું છે કે, બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ અંતિમ કોન્ટ્રાક્ટને નક્કી કરી લેવામાં આવશે. બેટિંગ કોચ તરીકે સંજય બાંગર રહેશે તો તેની આવકમાં વધારો થશે. ભરત અરુણ આશરે બે કરોડના પેકેજ ઉપર બોલિંગ કોચ તરીકે ટીમ સાથે જોડાશે. બોલિંગ કોચ તરીકે ભરત અરુણ શાસ્ત્રીની પ્રથમ પસંદગી છે. સંજય બાંગર પહેલાથી જ કિંગ્સ ઇલેવન પંજાબના કોચ પદેથી રાજીનામુ આપી ચુક્યો છે. જો વિદેશી પ્રવાસ માટે રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાની સાથે સહાયક કોચ તરીકે જોડાય છે તો તેેની વધારાની આવક તરીકે રહેશે. રાહુલ દ્રવિડ પહેલાથી જ ભારત એ અને અન્ડર ૧૯ના કોચ તરીકે છે. આ જવાબદારી માટે રાહુલ દ્રવિડને પ્રથમ વર્ષે ૪.૫ કરોડ અને બીજા વર્ષે પાંચ કરોડ રૂપિયા મળ્યા છે. ઝહીર ખાને ગયા વર્ષે ૧૦૦ દિવસના બદલે ચાર કરોડ રૂપિયાની માંગ કરી હતી.