ટીમ ઇન્ડિયા માટે કોચિંગ ટીમને લઇને ડ્રામાનો દોર જારી રહ્યો છે. ટીમના સપોર્ટ સ્ટાફના મુદ્દે ચર્ચા કરવા રવિ શાસ્ત્રી મંગળવારના દિવસે નવી પેનલને મળનાર છે. ડાયના ઇન્દુલજી, સીકે ખન્ના, અમિતાભ ચૌધરી અને રાહુલ જોહરીની હાલમાં રચવામાં આવેલી પેનલને રવિ શાસ્ત્રી મળનાર છે. ટીમના સપોર્ટ સ્ટાફને લઇને પણ ખેંચતાણ ચાલી રહી છે. ડાયના ઇન્દુલજી સીઓએના સભ્ય તરીકે છે જ્યારે સીકે ખન્ના બીસીસીઆઈના કારોબારી પ્રમુખ છે અને અમિતાભ ચૌધરી કારોબારી સચિવ છે. હવે બોર્ડ દ્વારા રચવામાં આવેલી પેનલ સપોર્ટ સ્ટાફના મુદ્દા પર નિર્ણય કરનાર છે. સીઓએ વડા વિનોદ રાયે ગઇકાલે જ કહ્યું હતું કે, ક્રમશઃ બેટિંગ અને બોલિંગ સલાહકાર તરીકે રાહુલ દ્રવિડ અને ઝહીર ખાનની નિમણૂંકને રોકી દેવામાં આવી છે. એમ પણ જાણવા મળ્યું છે કે, અંતિમ નિમણૂંક કરતા પહેલા રવિ શાસ્ત્રીના અભિપ્રાય લેવામાં આવશે. મળેલી માહિતી મુજબ હેડકોચ તરીકે રવિ શાસ્ત્રી સાથે અન્ય કોચના નિમણૂંક મામલે વાતચીત કરવામાં આવશે. કોચિંગ ટીમમાં ત્રણ નિમણૂંકને લઇને વિવાદની સ્થિતિ છે. એવું જાણવા મળ્યું છે કે, રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી વચ્ચે એકબાજુ ઘણા સારા સંબંધો છે જ્યારે કોચ તરીકે રાજીનામુ આપનાર અનિલ કુંબલે સાથે રાહુલ દ્રવિડ અને ઝહીર ખાનના ઘણા સારા સંબંધ રહ્યા છે. આવી સ્થિતિમાં રવિ શાસ્ત્રી દ્રવિડ અને ઝહીર ખાનને સાથે રાખવાના બદલે તેમનાથી દૂર રહેવાના પ્રયાસમાં છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાના ભાવી દેખાવ ઉપર પણ માઠી અસર થઇ શકે છે. ખેંચતાણના દોર વચ્ચે રવિ શાસ્ત્રી વિખવાદને દૂર કરીને ટીમ ઇન્ડિયાના દેખાવને સુધારવા પ્રયાસ કરશે કે કેમ તેની ચર્ચા છે. હાલમાં ટીમ ઇન્ડિયા ખુબ જ ખરાબ તબક્કામાંથી જૂથવાદના કારણે પસાર થઇ રહી છે.
આગળની પોસ્ટ