જમ્મુ કાશ્મીરના અલગતાવાદી લીડરોને આવરી લેતા ટેરર ફંડિંગ કેસમાં તપાસ કરી રહેલી તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શ્રીનગરની જામિયા મસ્જિદ અને ઇસ્લામિયા સ્કૂલને નોટિસ ફટકારી છે. આ બંને સંસ્થા હુર્રિયત લીડર મીરવાઈઝ ઉંમર ફારુક સાથે સંબંધ ધરાવે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નોટિસ હાલમાં જ મોકલવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી ત્રાસવાદી ફંડિંગના સંદર્ભમાં અલગતાવાદીઓની એનઆઈએ દ્વારા આકરી પુછપરછ કરવામાં આવ્યા બાદ આ નોટિસ ફટકારવામાં આવી છે. જામિયા મસ્જિદ દરગાહ અને ઇસ્લામિયા સ્કૂલ શિક્ષણ અને ધર્મની જુની ખીણની સંસ્થાઓ છે. મીરવાઈઝે શ્રીનગરમાં મસ્જિદમાં શુક્રવારના દિવસે નમાઝ અદા કરી હતી. સાથે સાથે ઇસ્લામિયા સ્કૂલની સ્થાપના એક સદી અગાઉ તેમના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. એનઆઈએ દ્વારા જામિયા મસ્જિદના એકાઉન્ટની જવાબદારી સંભાળનાર મોહમ્મદ હુસૈન ખાનને પણ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત આ સંસ્થાને ચલાવનાર અંજુમન નુશરત ઉલ ઇસ્લામના જનરલ સેક્રેટરી મોહમ્મદ ઇબ્રાહીમ શાહને પણ નોટિસ ફટકારી છે. બંનેને એનઆઈએ સમક્ષ ઉપસ્થિત થવા માટે કહેવામાં આવ્યું છે. એનઆઈએની નોટિસ અંગે પ્રતિક્રિયા આપતા મીરવાઈઝે કહ્યું છે કે, રાજ્ય દ્વારા ખટલો ચલાવવાના સંકેત તરીકે આને ગણી શકાય છે. હુર્રિયત દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, અંજુમન નુશરત ઇસ્લામ અને જામિયા મસ્જિદ એક રાજકીય અને સામાજિક સંસ્થા તરીકે છે જે દશકોથી રાજ્યની નિસ્વાર્થરીતે સેવા કરે છે. હુર્રિયતનું કહેવું છે કે, એનઆઈએ શ્રીનગરમાં ઓફિસ ધરાવે છે પરંતુ તેને જાણી જોઇને વધુ મુશ્કેલીમાં મુકવા દિલ્હી આવવા મસ્જિદ અને સ્કૂલના અધિકારીઓને કહ્યું છે કે, એનઆઈએ દ્વારા કટ્ટરપંથીઓ સામે હાલમાં સકંજો મજબૂત કરવામાં આવ્યો છે.
પાછલી પોસ્ટ