Aapnu Gujarat
બિઝનેસ

ટીવી, એસી અને ફ્રિજ ૨.૫% મોંઘાંઃ વૃદ્ધિ અંદાજ કરતાં અડધી

જીએસટી લાગુ થયા બાદ ટીવી, ફ્રિજ, એસી અને વોશિંગેમશીનના ભાવમાં ૨.૫ ટકા સુધીનો વધારો થશે. અગાઉ જે ભાવવધારાની અપેક્ષા હતી તેના કરતાં ભાવવધારો અડધો હશે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ હાલમાં જીએસટી પ્રમાણે ભાવના સ્ટ્રક્ચરને આકાર આપી રહી છે.સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ૪૨ ઇંચના એલઇડી ટીવીનો ભાવ અગાઉ રૂ.૪૦,૦૦૦ હતો તે હવે રૂ.૪૦,૯૦૦ થશે. ૨૮૦ લિટરના ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરનો ભાવ ૫૦૦ રૂપિયા વધીને રૂ.૨૬,૦૦૦ થશે. એસી અને વોશિંગ મશીનના ભાવમાં રૂ.૪૦૦થી રૂ.૧,૦૦૦ સુધી વધારો થશે અને તેનો આધાર તેની કેપેસિટી પર હશે. એકંદરે મોટા ભાગની પ્રોડક્ટ માટે ભાવમાં વધારો દોઢથી બે ટકા જેટલો હશે.ઉદ્યોગ માને છે કે ૩૦થી ૪૫ દિવસમાં ગ્રાહકોનું સેન્ટિમેન્ટ બોટમ આઉટ થઈ જશે. ગયા મહિને રિટેલ સેક્ટરમાં દિવાળી જેવી સ્થિતિ હતી અને ભારે ડિસ્કાઉન્ટના કારણે ગ્રાહકોએ ધૂમ ખરીદી કરી હતી. જીએસટી લાગુ થાય તે પહેલાં ઇન્વેન્ટરી ઘટાડવા રિટેલર્સે ૩૫થી ૪૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપ્યું હતું.વિડિયોકોનના ચીફ ઓપરેટિંગ ઓફિસર સી એમ સિંઘે જણાવ્યું કે, ગઈ દિવાળી પછી ઉદ્યોગોએ ભાવવધારો ટાળ્યો છે. એક પછી એક એવી ઘટનાઓ બની છે જેના કારણે વેચાણને ફટકો લાગ્યો છે. ખાસ કરીને નોટબંધીથી વેચાણને અસર થઈ હતી. અમને નથી લાગતું કે જીએસટી પછી ભાવ વધવાના કારણે વેચાણને બહુ અસર પડે. સ્વાતંત્ર્ય દિવસે પ્રમોશનના કારણે વેચાણમાં વધારો થવાની શક્યતા છે.જીએસટી અગાઉ વેટ, એક્સાઇઝ અને એન્ટ્રી ટેક્સ વગેરેને ધ્યાનમાં લેતાં કુલ ટેક્સ ૨૬ ટકાથી ૨૬.૫ ટકા જેટલો થતો હતો. જીએસટીમાં આ માટે ૨૮ ટકાનો ટેક્સ ફિક્સ કરવામાં આવ્યો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ ભાવની અંતિમ ગણતરી કરી રહ્યો છે. વિતરકો અને ડીલર્સ દ્વારા નવા ભાવ હજુ જાહેર કરવામાં આવ્યા નથી.ગોદરેજ એપ્લાયન્સિસ બિઝનેસના વડા કમલ નંદીએ જણાવ્યું કે ભાવવધારો થઈ રહ્યો છે કારણ કે તમામ કંપનીઓએ વેટ વખતનો સ્ટોક અને કાચી સામગ્રી રાખી છે. તેના પર તેમને ઈનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે તેથી જીએસટીના તફાવતનો ભાવ તેઓ ગ્રાહકો પર નાખી રહ્યા છે. જોકે, ઈનપુટ કોસ્ટમાં વધારો નહીં થાય તો બે મહિનામાં ભાવવધારો ઉલ્ટાવી દેવાશે.નંદીએ જણાવ્યું કે, એક વખત અમે જીએસટી હેઠળ કાચી સામગ્રી ખરીદીએ અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીએ ત્યાર પછી ભાવવધારો સરભર કરવામાં આવે અને ભાવ ઘટે તેવી શક્યતા છે. સપ્ટેમ્બર સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

Related posts

રિલાયન્સ જિઓ ઈન્ફોકોમે સ્ટાફમાં કર્યો ધરખમ ઘટાડો

aapnugujarat

એચવન-બી વીઝામાં ફેરફારથી અમેરિકાને થશે નુકસાન : નાસકોમ

aapnugujarat

વિજય માલ્યાને અપરાધી જાહેર કરવાની માંગની સાથે અરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1