સુરેન્દ્રનગરના હાર્દ સમા રોડ પર સીપી ઓઝા શારદા મંદિર વિસ્તાર તેમજ સમય કાર્યાલય તેમજ એમ એલ દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિર વિસ્તારમાં પાણી તેમજ કીચડથી વેપારીઓ તેમજ ત્યાંના સ્થાનિક રહીશો તોબા પોકારી ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી તેમજ વેપારીઓની દુકાનો પાસે પાણી તથા કીચડ થવાથી ગ્રાહકો તેમજ વેપારીઓ ત્રાસી ગયા છે તો સ્થાનિક વેપારીઓ તેમજ રહીશોનું કહેવું છે કે નગરપાલિકા પ્રશાસન દ્વારા યોગ્ય પાણીનો નિકાલ કરવામાં આવે. આ વિસ્તારમાં સીપી ઓઝા શારદા મંદિર સ્કૂલ તેમજ એલ.એમ દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિર આવેલા હોવાથી વિદ્યાર્થીઓના આરોગ્યને પણ ખતરો છે તેમજ સ્થાનિક લોકોનાં સ્વાસ્થ્યને ધ્યાને લઇ પાણીનો યોગ્ય નિકાલ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે, હાલ કોરોના વાઈરસના સંક્રમણ રોકવા દેશ અને દુનિયા સ્વચ્છતા ઉપર ભાર મૂકી રહી હોય ત્યારે, આવી ગંદકી દૂર કરવી એવું લોકો ઈચ્છી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં હાલ દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે જો આવી ગંદકીઓ દૂર કરવામાં નહીં આવે તો લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડશે.
(તસવીર / અહેવાલ : -ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)