સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસો આવતા લીબંડી શાકમાર્કેટ એસોસિએશન દ્વારા આગામી તારીખ ૧૧ થી ૧૬ સુધી શાકમાર્કેટ બંધ રાખવાનો સ્વંયભુ નિર્ણય કરવામાં આવ્યો છે. લીંબડીમાં કુલ કેસો ૩૦ ઉપર થવા પામ્યા છે જેમાં ૧૨થી વધારે કેસો શાકમાર્કેટ વિસ્તારના છે. હાલ લીબંડી શાકમાર્કેટ કોરોનાનું એપી સેન્ટર છે તેથી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એસોસિએશનના પ્રમુખ દલસુખ ચૌહાણે જણાવ્યું કે આગામી પાંચ દિવસ શાકમાર્કેટ બંધ રાખવામાં આવશે. લીબંડી શાકમાર્કેટ વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતાં. લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરી રહ્યા. અગાઉ અનાજ કરિયાણાના વેપારીઓ દ્વારા બપોરે બે વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે તેમજ લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૬૮થી ઉપર કેસો છે તેમજ લીંબડીમાં કોરોના મીટર ૩૦ને પાર કરી ગયું છે. સ્થાનિક વેપારીઓ દ્વારા કોરોનાનું સંક્રમણ ઓછું થાય એ માટે બીજું નાનું એક લોકડાઉન સરકાર દ્વારા લીંબડીની પ્રજાના આરોગ્યને ધ્યાનમાં લઇ કરવામાં આવે તેવું ઇચ્છી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)
આગળની પોસ્ટ