નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી ભારતીય રેલવે ફરી કામે રખાયેલા સેવાનિવત્ત હજારો કર્મચારીઓને કાઢી મૂકશે. રેલવે લોકડાઉનથી થયેલા નુકસાનને ઓછું કરવા પોતાના ખર્ચા પર કાપ મૂકવા માગે છે. જો કે આ નિર્ણય માટે અન્ય કારણ પણ છે. જેમ કે વધતી વયને લીધે આવા કર્મીઓ પર સંક્રમણનું જોખમ વધુ છે. જો કે કેન્દ્રીય રેલવે મંત્રાલયના પ્રવક્તા ડીજે નારાયણે આ અંગે કોઈ માહિતી નહીં હોવાનું જણાવ્યું છે. આમા મોટાભાગે જૂનિયર કર્મચારીઓ છે, જેઓ ટ્રેક મશીન, પુલ અને આવા પ્રકારની ટેક્નિકલ સુરક્ષા શ્રેણીઓના સંચાલનમાં કામ કરે છે. તેઓ પેન્શનના હકદાર છે. તે તેમને મળનારી સેલેરીના ૫૦ ટકા છે. નોંધનીય છે કે લોકડાઉનને કારણે તમામ પેસેન્જર ટ્રેનોનું સંચાલન સંપૂર્ણપણે અટકાવી દેવાયું હતું. જે ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું હતું. મે મહિનામાં શ્રમિક ટ્રેનો શરૂ કરાઈ ત્યાં સુધી ટ્રેનના પાટા વેરાન ભાસતા હતા. હજુ પણ બધી ટ્રેને ચાલુ કરાઈ નથી. દક્ષિણ રેલવેએ ૫ મેના રોજ લખેલા પત્રમાં જણાવ્યું કે ‘લોકડાઉનને કારણે આંશિક ઉપસ્થિતિને જોતા અને ૬૦ વર્ષથી વધુની વયના કર્મીઓને કોવિડ-૧૯નું વધુ જોખમ હોવાથી દક્ષિણ રેલવેની તમામ ઓફિસોના સેવાનિવૃત્ત કર્મચારીઓની સેવા સમાપ્ત કરવા ૧૫ દિવસની નોટિસ અપાઈ છે.’ સૂત્રો મુજબ ઝોનલ રેલવે મહામારીને કારણે ઓછા સમયમાં પૈસા બચાવવા માટે તાત્કાલિક અસરથી ફરી રાખવામાં આવેલા કર્મચારીઓની સેવા સમાપ્ત કરવાની માગ કરી રહ્યું છે. ૨૦૧૯માં રેલવે બોર્ડે એક યોજના બનાવી હતી, જેનો ઉદ્દેશ્ય બે વર્ષ માટે રેલવેમાં ખાલી પડેલી હજારો જગ્યાને કરાર અને પ્રાયોગિક ધોરણે ભરવા માટે પોતાના જ રિટાયર્ડ કર્મીઓને ફરી કામે રાખવાનો હતો. આ યોજના ગ્રેડ ૧થી ૭માં સીધી ભરતીના ક્વોટા માટે સ્પષ્ટ ખાલી જગ્યાઓની સામે મંજૂરી આપવાની હતી. જેનો મતલબ મોટાભાગે જુનિયર સ્તરે ભરતી કરવાનો હતો. ત્યારબાદ હજારો રિટાયર્ડ કર્મીઓને ટ્રેક મશીનો, પુલ અને અન્ય સમાન ટેક્નિકલ સુરક્ષા શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ એક વર્ષમાં જ તેમને કાઢવાનો નિર્ણય લેવાઈ રહ્યો છે. એક રેલવે અધિકારીના જણાવ્યા મુજબ માત્ર ઉત્તર રેલવેમાં જ આવા ૧૦૦૦ કર્મીઓની પુનઃ નિમણૂક કરાઈ હતી.
આ અંગે એક રેલવે અધિકારીએ નામ નહીંં આપતા જણાવ્યું કે, “લોકડાઉન દરમિયાન તે વધારાની શ્રમશક્તિ હતી અને રેલવે તેનો અસરકરાક રીતે ઉપયોગ કરવામાં સક્ષમ નહતું. વળી જે ફરી કામે રખાયેલા છે, તેઓ ૬૦ વર્ષથી ઉપરના છે અને કોવિડ-૧૯ માટે બહુ નબળા છે, તેથી એવુ લાગે છે કે તેમની સેવા સમાપ્ત કરવી વિવેકપૂર્ણ કાર્ય હશે. ઉપરાંત આવું કરવાથી દર મહિને સરકારી ખજાનાને સેંકડોની બચત થશે.”
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ