ગુજરાતમાં ખેડૂતોના દેવામાફીનો મુદ્દો ઉઠાવી ઓબીસી એકતા મંચે આજથી લડતના મંડાણ શરૂ કર્યાં છે. રાજ્યમાં આજે ૨૫ તાલુકા મથકોએ ખેડૂતોના દેવામાફી માટે રેલીઓ યોજાશે.ઓબીસી એકતા મંચે ગુજરાતમાં ખેડૂતોના દેવામાફી માટે આગેવાની લીધી છે. જેવી રીતે મધ્યપ્રદેશ અને પંજાબ સરકારે ખેડૂતોના દેવા માફ કરવા માટે એલાન કર્યું છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ ખેડૂતોના દેવા માફ કરવા આગળ આવે.અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, કૃષિમેળા પાછળ કરોડોનો ધુમાડો કરાયા બાદ પણ ખેતીની સ્થિતીમાં સુધારો થયો નથી.
ખેડૂતો આર્થિક રીતે બેહાલ બન્યાં છે ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જ જોઇએ. આ લડતમાં ખેડૂત સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓનું સમર્થન સાંપડી રહ્યું છે. દસેક દિવસમાં રાજ્યના તમામ તાલુકાઓ આવરીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ગુજરાતમાં ૧લી જુલાઇથી ૫મી જુલાઇ સુધી પાંચ સ્થળોએ જાહેર રેલીઓ યોજાશે. ઓબીસી એકતા મંચે એવી ઘોષણા કરી છે કે, જો સરકાર ૫મી જુલાઇ સુધી ખેડૂતોના દેવા માફ નહીં કરે તો ૮મી જુલાઇથી ગાંધીગર ચલોનો નારો અપાશે અને ગાંધીનગરમાં હજારો ખેડૂતોની ઉપસ્થિતીમાં અચોકક્સ મુદતના ઉપવાસ શરૂ કરાશે.