પાવીજેતપુર તાલુકામાં લોકડાઉન દરમિયાન કેટલાક વ્યક્તિઓ દુકાનો ખોલી તેમજ વગર કામના ફરતા જોવા મળતા ૧૭ વ્યક્તિઓ સામે પાવીજેતપુર ,કદવાલ , કરાલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં કોરોના વાઈરસના કહેરને લઈને દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લા કલેકટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડીને બજારો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. અને લોકડાઉનને સફળ બનાવવા માટે જાહેરનામાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાંય પાવી જેતપુર ખાતે કેતલાક વેપારીઓ જાહેરનામાનો ભંગ કરીને દુકાનો ખોલતા તેમજ કામ વગર ફરતા લોકોને પાવીજેતપુર તાલુકા ની પોલીસે આવા ૧૭ જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા.
પાવી જેતપુર પોલીસે ગઈકાલે ૮ વેપારીઓ મોહમ્મદફઇમ ખત્રી, પૂનમભાઈ તડવી, અબ્દુલ રહેમાન ખત્રી, અબ્દુલ સત્તાર ખત્રી, ઇનાયતભાઈ ખત્રી, રૂમિત શાહ, સતીષ રાઠવા તેમજ બાબુલાલ ચૌહાણે પોતાની દુકાનો જાહેરનામાનો ભંગ કરીને ખુલ્લી રાખતા પાવી જેતપુર પોલીસે આ તમામ વેપારીઓ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
તેવીજ રીતે વગર કામના ફરતા નરસિંહ ભાઈ આશાભાઈ વણકર, રામદાસ ભાઈ ગેમાભાઇ બારીયા, સંતોષભાઈ માધુભાઈ રાઠવા, નવલસિંગ ભાઈ રામસિંગભાઈ રાઠવા, જેસલભાઈ શાંતિભાઈ રાઠવા વિરુદ્ધ કરાલી પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે કદવાલ પોલીસે રિફાકતહુસેન ઈલિયાસભાઈ ખત્રી, નરવતભાઈ હીમજીભાઈ રાઠવા, ગોપસિંગભાઈ ચીમનભાઈ રાઠવા, નવીનભાઈ મશરૂભાઈ રાઠવાનાઓ વગર કામના ફરતા હોવાના કારણે જાહેરનામાનો ભંગ બદલનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, પાવીજેતપુર તાલુકામાં પાવીજેતપુર ,કદવાલ અને કરાલી પોલીસ સ્ટેશન દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર ૧૭ જેટલી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઇમરાન સિંધી..પાવીજેતપુર