બાવળાના મેલડી માતાજીના ભુવાની હત્યાના ચકચારભર્યા કેસમાં અમદાવાદ ગ્રામ્યની એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. મારનાર આરોપીઓમાં તાંત્રિક જ હતા અને પૈસાની લાલચમાં મેલડી માતાજીના ભુવા ચીનુભાઇ શંકરભાઇ પરમારની હત્યા કરી નંખાઇ હોવાની વાત સામે આવી હતી. પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં બાપુ ઉર્ફે નરેશભાઇ શંકરભાઇ પટેલ(ઉ.વ.૫૯)(રહે. વડથલ,તા.મહુધા), રાજુુભાઇ અબ્બાસભાઇ ચૌહાણ (મોલેસલામ) (ઉ.વ૩૭) (રહે.પીઠઇ, તા.કઠલાલ, જિ.ખેડા), રોનક નંદીશભાઇ પટેલ(ઉ.વ.૨૯)(રહે.વડથલ, તા.મહુધા, જિ.ખેડા), એહમદભાઇ નુરભાઇ શેક(ઉ.વ.૬૪)(રહે.વડથલ, તા.મહુધા) અને જાવેદભાઇ મહંમદભાઇ ચૌહાણ(ઉ.વ.૨૨)(રહે.પીઠઇ, તા.કઠલાલ, જિ.ખેડા)નો સમાવેશ થાય છે. આ અંગેની વિગત એવી છે કે, બાવળાના વાસણા(ઢેઢાલ) ગામે ભવાની માતાના મંદિરની બાજુમાં રહેતા અને ભુવાજીનું કામ કરતાં મેલડી માતાજીના ભુવા ચીનુભાઇ શંકરભાઇ પરમારને તા.૧૭-૬-૨૦૧૭ના રોજ અજાણ્યા શખ્સો પૂજા વિધિના બહાને ગામની પાછળ મહાદેવજીના મંદિરે લઇ ત્યાં તેમને માર મારી ફોરવ્હીલના બોનેટ પર આગળ બાંધી વાસણા ગામની કેનાલ સુધી લઇ જઇ લાશ ફેંકી દેવાની ચકચારી ઘટના બની હતી. આ બનાવ અંગે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મરનાર ભુવાના ત્યાં નજીકના સમયમાં મુલાકાત લેનારાઓ અને શકમંદોની જાણકારી મેળવી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે ઉપરોકત પાંચ આરોપીઓને ઝડપી લેવાયા હતા.