શહેરની વધુ એક શાળા વસ્ત્રાલ રીંગરોડ પર આવેલી માધવ વિદ્યાવિહારમાં ૫૦થી ૧૦૦ ટકા સુધીનો ફી વધારો ઝીંકાતા વાલીઓએ આજે સ્કૂલમાં જઇ જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો. વાત એટલી હદે વણસી હતી કે, એક તબક્કે શાળામાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. લગભગ ત્રણ કલાકથી વધુ ચાલેલી બબાલના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર અસર પડી હતી અને તે ખોરવાયુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના વસ્ત્રાલ રીંગરોડ પર આવેલી માધવ વિદ્યાવિહાર સ્કૂલમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ચલાવાય છે. પ્રાયમરીમાં અત્યાર સુધી રૂ.૮થી રૂ.૧૦ હજાર ફી વસૂલવામાં આવતી હતી પરંતુ તાજેતરમાં જ સ્કૂલ સંચાલકોએ ૫૦થી ૧૦૦ ટકા સુધીનો ઉંચો ફી વધારો ઝીંકી ફી નું ધોરણ રૂ.૧૪થી રૂ.૧૬ હજાર સુધી કરી નાંખ્યું હતું. આટલા મોટા ફી વધારાની જાણ થતાં વાલીઓમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. અસહ્ય ફી વધારાના મુદ્દે કેટલાક વાલીઓ શનિવારે સ્કૂલ સંચાલકોને રજૂઆત કરવા પણ ગયા હતા પરંતુ સંચાલકોએ વાલીઓને ફી ઘટાડો કરવાની સાફ ના સુણાવી દીધી હતી. સંચાલકોએ કહ્યું હતું કે, સરકારે રૂ.૧૫ હજાર સુધીની ફી નક્કી કરી છે, તેથી અમે તે મુજબ જ ફી વસૂલી રહ્યા છીએ. સંચાલકોના આવા વર્તનથી રોષે ભરાયેલા વાલીઓ આજે ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ સ્કૂલ પર પહોંચ્યા હતા અને ત્યાં ભારે હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ ફી નિયમન કાયદો લાગુ થઇ ગયો હોઇ તાત્કાલિક ધોરણે ફી વધારો પાછો ખેંચવાની ઉગ્ર માંગણી કરી હતી. વાલીઓના આક્રોશ અને હોબાળાથી ગભરાઇ ગયેલા સ્કૂલ સંચાલકોએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જો કે, પોલીસ આવ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચેનું ઘર્ષણ ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. જેના કારણે શાળાનું શૈક્ષણિક કાર્ય ખોરવાઇ ગયું હતું.
આગળની પોસ્ટ