બ્રિટનના પાટનગર લંડનના લેરિમર રોડ પર વાઇટ સિટીના ગ્રેનફેલ ટાવરમાં ફાટી નિકળેલી આગમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. લાપત્તા થયેલા ૫૮ લોકોને હવે મૃત જાહેર કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. પશ્ચિમ લંડનમાં ૨૭ માળની નિવાસી ઇમારતમાં આગ ફાટી નિકળી હતી. સ્કોટલેન્ડ યાર્ડે કહ્યું છે કે, મોતનો આંકડો વધી શકે છે. બીજી બાજુ દાઝી ગયેલા લોકો પૈકી પણ ઘણાની હાલત હજુ ગંભીર બનેલી છે. બ્રિટિશ વડાપ્રધાન થેરિસા મેની આગની ઘટના બાદ ચારેબાજુ ટિકા થઇ રહી છે. કારણ કે, આ બનાવ બાદ તરત જ તેઓ ભોગ બનેલા લોકોના પરિવારને મળ્યા ન હતા. બિન સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મોતનો આંકડો ૧૦૦થી ઉપર પહોંચી શકે છે. સ્પેશિયાલિસ્ટ ડોગ ટીમોની મદદથી અર્બન સર્ચ યુનિટ તપાસ કરી રહી છે. બ્રિટનના પાટનગર લંડનમાં ઇતિહાસની સૌથી ભીષણ અગ્નિકાંડના કારણમાં તપાસ ચાલી રહી છે. સત્તાવાર રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ૩૭ લોકો પૈકી ૧૭ લોકોની હાલત હજુ ગંભીર જણાવવામાં આવી છે જેથી મોતનો આંકડો હજુ વધવાની દહેશત દેખાઈ રહી છે. બુધવારે સવારે ભીષણ આગ ફાટી નિકળી હતી. ૫૦ લોકોને શહેરની જુદી જુદી પાંચ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આગની ઘટના બની ત્યારે ઇમારતમાં આશરે ૬૦૦ લોકો હતા. ઇમારતમાં ૧૨૦થી પણ વધારે ફ્લેટ છે. આગ બાદ મોટી સંખ્યામાં લોકો અટવાઇ પડ્યા હતા. ૨૭ માળની આ ઇમારતમાં આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં લોકો હતા. આગ એટલી ભીષણ હતી કે આગ પર કાબુ મેળવી લેવા માટે આસપાસના તમામ વિસ્તારોમાંથી ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યા હતા. ૨૦૦ ફાયર ફાઇટર ગાડી ઘટનાસ્થળે પહોંચીહતી.સેંકડોની સંખ્યામાં કર્મચારીઓ આગ પર કાબુ મેળવી લેવા માટે પહોંચ્યા હતા. બ્રિટનમાં હાલમાં એક પછી એક મોટી ઘટના બની રહી છે. હાલમાં બે ત્રાસવાદી હુમલા થઇ ગયા છે જે પૈકી એક માન્ચેસ્ટરમાં અને અન્ય લંડનમાં બે વખત હુમલો કરવામાં આવ્યો હતો. પહેલાથી જ બ્રિટન હાઇ એલર્ટ પર છે. અગ્નિકાંડની ઘટનામાં ઉંડી તપાસ જારી છે.