પવિત્ર શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનું અનેરું મહત્વ રહેલું છે. ખાસ કરીને શ્રાવણ માસમાં શિવાલયો શિવભક્તોથી ઉભરાય છે ત્યારે દેશના અરબી સમુદ્રના કિનારે બિરાજમાન પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને શ્રાવણની શરૂઆત થતાં ભક્તોની ભારે ભીડ જામે છે અને શ્રાવણ માસમાં મંદિર ખુલતાં જ લાંબી લાઇનો સોમનાથ પરિસરમાં જોવા મળે છે પણ હાલમાં ગુજરાત સહિતના આજુબાજુના રાજ્યમાં ભારે વરસાદના પગલે સોમનાથ તરફ આવતી ટ્રેન તેમજ અનેક બસ રૂટો બંધ થયા છે અને સોમનાથના યાત્રિકોનાં પ્રવાહમાં ધરખમ ધટાડો જોવા મળે છે. શ્રાવણના સોમવારે જ માત્ર ભક્તોની લાંબી કતારો જોવા મળે છે ત્યારપછીના દિવસોમાં ઓછા યાત્રિકો જોવા મળે છે જેની સીધી અસર સોમનાથ ટ્રસ્ટની આવકમાં જોવા મળે છે. છેલ્લાં ત્રણ વર્ષની સોમનાથ ટ્રસ્ટની આવક જોવા જઈએ તો શ્રાવણ માસ ૨૦૧૬નાં વર્ષમાં ૫૩૧૦૭૪૫૧ થઈ હતી જ્યારે ૨૦૧૭ ના શ્રાવણ માસમાં રૂપિયા ૪૫૯૩૦૬૦૬ થઈ હતી. ૨૦૧૮માં વધીને ૬૩૯૮૮૯૧૫ થઈ હતી જે ૨૦૧૯નાં તારીખ ૨૦ ઓગસ્ટ સુધીમાં સોમનાથ ટ્રસ્ટની આવક ૩૮૨૭૦૧૨૪ થઈ છે જેમ ૫૦ ટકા જેટલો ધટાડો જોવા મળે છે. જોકે શ્રાવણનાં ત્રણ સોમવાર પુરા થઈ ગયા છે અને હજુ પણ થોેડા દિવસ બાકી છે અને જન્માષ્ટમી તેમજ એક સોમવારે બાકી છે ત્યારે સોમનાથમાં યાત્રિકોનો પ્રવાહ ઉમટી પડે છે. જોકે હાલમાં પણ યાત્રિકોનો પ્રવાહ ખુબ જ ઓછો જોવા મળી રહ્યો છે જેથી છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીમાં આ વર્ષે યાત્રિકોનો પ્રવાહ ઓછો થવાને લીધે સોમનાથ ટ્રસ્ટની આવકમાં ધટાડો જોવા મળે છે.
(તસવીર / અહેવાલ :- સુરેશ ચાંડપા, સોમનાથ)