Aapnu Gujarat
બ્લોગ

શિવજીનું સ્વરૂપ

શિવજીની ઉત્પત્તિથી તેમના બે વિવાહ વચ્ચેની કથા આપણે ‘શિવપુરાણ’ના માધ્યમથી જાણી. તેનો તત્ત્વાર્થ જાણ્યો. શિવજીનું જે સ્વરૂપ છે તેનું ચિંતન પણ જરૂરી છે. શિવજી આજના જમાનાના કોઈ પણ યુવાનને રોકસ્ટાર લાગે. લાંબા વાળ, કપાળે ત્રિપુંડ,સાપ સાથે ત્રિશૂળ, ડમરુ, વ્યાઘ્રચર્મનું આસન, પૌરુષત્વથી છલોછલ ચહેરો અને શરીર, માથા પર અર્ધચંદ્ર અને ગંગા, હાથમાં કોણીથી સહેજ ઉપર અને કાંડા પર રુદ્રાક્ષ, ધ્યાન કરતા હોય ત્યારે શાંત પણ કામદેવ જેવા કોઈએ છંછેડે કે સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ જાય. પતિ તરીકે પણ કેવા આદર્શ? સતીને રામની પરીક્ષા કરવાનું મન થયું તો જવા દીધા, પરંતુ પછી તેમનો માનસિક ત્યાગ કર્યો. સતીએ પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં આમંત્રણ નહોતું તો પણ જવા જીદ પકડી તો પહેલાં સમજાવ્યાં, પરંતુ ન માન્યા તો જવા દીધાં. હુકમ ન આપ્યો કે જોરજબરદસ્તી ન કરી કે હું તો આ સૃષ્ટિનો રચયિતા. તમારે હું કહું તેમ જ કરવાનું હોય. પતિની આજ્ઞા માનવી જ પડે. સતીએ આત્મવિલોપન કર્યું તે જાણ્યું ત્યારે પતિ તરીકે કેટલા ગુસ્સે થઈ ગયા! દક્ષના યજ્ઞને છિન્નભિન્ન કરી નાખ્યો. તાંડવ કર્યું અને સતીના મૃતદેહને લઈને ફર્યા. વિષ્ણુ ભગવાને રુદ્રના ક્રોધને શાંત કરવા પોતાના ચક્રથી સતીના દેહના બાર ટુકડા કરી નાખ્યા અને આ ટુકડા જ્યાં પડ્યા તે શક્તિપીઠ બની ગયા.સતીના મૃત્યુ પછી શિવજી સાવ વિરક્ત બની ગયા. ભારે મનોમંથન પછી શિવજીએ પાર્વતી સાથે બીજાં લગ્ન કર્યાં અને તેનો હેતુ પણ માત્ર સાત્વિક હતો – તારકાસુરનો વધ કરવા કાર્તિકેયનો જન્મ જરૂરી હતો. લગ્નનું નક્કી કરતાં પહેલાં પાર્વતીની વારંવાર પરીક્ષા લીધી. તેમને ભરપૂર સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ એક વાર લગ્નનો નિર્ણય લઈ લીધો તે પછી સાસુ મેનાને તેમનું રૂપ પસંદ ન પડ્યું તો તેમને ગમે તેવું સુંદર રૂપ પણ ધારણ કર્યું. અને લગ્ન પછી પાર્વતી સાથે પ્રીતિ પણ દર્શાવી- લગ્ન કરીને કૈલાસ પર્વત પર પહોંચ્યા કે તરત તેમણે પાર્વતી સાથે ગયા જન્મની વગેરે વાતો કાઢી. પાર્વતીએ કહેવું પડ્યું કે પહેલાં દેવતાઓની સરભરા કરી લઈએ, પછી વાત.જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે ઝેર કોણ પીવે? એ માટે શિવજી આગળ આવ્યા. તેમણે ઝેર પીધું અને પીધું પણ તેને પચાવી પણ જાણ્યું. તેને ગળેથી ઉતારી ન ગયા. ગળામાં જ રાખ્યું. જેણે શિવ થવું હશે, જે સમગ્ર સૃષ્ટિના કલ્યાણની ચિંતા કરતા હશે તેણે ઝેર પીતા અને તેને અટકાવતા પણ શીખવું પડશે. જ્યારે ભગીરથે ગંગાને પૃથ્વી પર અવતરિત કરવા માટે તપ કર્યું ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગંગા પૃથ્વી પર તો આવશે, પરંતુ તેનો વેગ એટલો પ્રચંડ છે કે તે સ્વર્ગમાંથી ઊતરીને સીધી પૃથ્વી પર આવશે અને સમગ્ર પૃથ્વીને વહાવીને લઈ જશે. આથી જો શિવજી તેને પોતાની જટામાં રોકી લે તો તેનો વેગ મંદ પડી જાય. અને ભગીરથ શિવજીની તપસ્યા કરે છે. શિવજી પોતાની જટામાં ગંગાને ઝીલે છે અને પછી ત્યાંથી તે પૃથ્વી પર આવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે તેને એવી રીતે જોઈ શકીએ કે ગંગાનો પ્રચંડ ધોધ સ્વરૂપને શિવજીએ વૈજ્ઞાનિક-એન્જિનિયરિંગ ઢબે એવી રીતે વાળ્યો હશે કે જેથી તે છેક બંગાળની ખાડી સુધી પહોંચે. શિવજીની જટાના શું અર્થ હોઈ શકે? બહુ સીધો તર્ક સામાન્ય રીતે નીકળે. શિવજી મુખ્યત્વે તપ કરતા હતા. વળી ઊંચે કૈલાસ પર્વત પર તેમનું સ્થાન હતું. સ્વાભાવિક જ તપમાં ખલેલ ન પડે તેથી વાળ વધારતા હશે. આવું વિચારી શકાય, પરંતુ અધ્યાત્મચિંતકોએ તેનો અર્થ એવો કાઢ્યો છે કે શિવજીની જટા વાયુમંડળનું પ્રતીક છે. શિવજી વાયુના પણ ભગવાન છે. વાયુ વગર સૃષ્ટિ સંભવ નથી. આથી તેઓ જીવનના દેવતા છે. તેમની જટામાંથી ગંગાનો પ્રવાહ નીકળે છે. આનો આપણે ઉપર એક અર્થ જોયો કે તેમણે એન્જિનિયરિંગની રીતે ધસમસતી ગંગાના પ્રવાહને ચેનલાઇઝ કરીને તેને યોગ્ય માર્ગે વાળી હશે, પરંતુ અધ્યાત્મિક રીતે અર્થ એવો નીકળે છે કે તેમના મસ્તિષ્ક પર ગંગા ધારણ કરે છે. ગંગા એટલે શુદ્ધ સાત્વિક જળ. શંકર ભગવાનને ગુસ્સો ખૂબ જ આવે. કોઈ પણ મનુષ્યને આવે, પરંતુ તેને મહદંશે શાંત રાખવું જરૂરી છે. જ્યારે સતીના યોગાગ્નિમાં ભસ્મ થઈ જવા જેવી કે કામદેવ વારંવાર પરેશાન કરે તેવી ઘટના બને ત્યારે ગુસ્સો કરવો અનિવાર્ય પણ બને છે, પરંતુ નાનીનાની વાતમાં ગુસ્સો તપસ્વી માટે કે કોઈ પણ વ્યક્તિ માટે સારો નથી. આથી માથા પર જળ રેડવું. તેમની ત્રીજી આંખની વાત કરીએ. ત્રીજી આંખ એટલે ડહાપણ. ત્રીજી આંખ એટલે બે નરી આંખે દેખાતી ચીજોને જ સાચી ન માની લેવું. ઘણી વાર આપણે જે સગી આંખે જોતા હોઈએ કે કાને સાંભળતા હોઈએ તે સાચું ન પણ હોઈ શકે.એક પ્રચલિત વાર્તા છે. એક રાજા કોઈ કામસર (ધારો કે યુદ્ધ) બહારગામ ગયો. તે તેની રાણી અને તેના નાનકડા દીકરાને છોડીને ગયો હતો. થોડાંક વર્ષો પછી તે પાછો આવ્યો ત્યારે યુદ્ધની ભાંજગડમાં ભૂલી ગયો કે તેનો દીકરો હવે યુવાન બની ગયો હશે. રાત્રે આવીને તેણે જોયું તો રાણી કોઈ પારકા પુરુષ સાથે સૂતી હતી. આ જોઈને રાજાને ક્રોધ આવી ગયો. રાજાએ એ પુરુષને મારવા તલવાર ઉગામી. પણ સ્ત્રી ઊંઘમાંય સાવધ હોય છે. તેનું આજ્ઞાચક્ર ઘણી વાર તેને ઊંઘમાંય અણસાર આપી દેતું હોય છે. રાણી જાગી ગઈ અને તેણે રાજાનો હાથ પકડી લીધો. રાજાને કહ્યું કે આ શું કરો છો? આ તો આપણો દીકરો છે.જ્યારે પણ કોઈ પ્રશ્ન, સમસ્યા થાય કે ક્રોધ આવે ત્યારે બે મિનિટ આંખો બંધ કરી આ ત્રીજી આંખ એટલે કે આજ્ઞા ચક્રના સ્થાને ધ્યાન કરવું. કોઈ રસ્તો જડી જશે અને ક્રોધ શાંત થઈ જશે. આ જ રીતે શિવજીના માથા પર અર્ધચંદ્ર પણ દર્શાવાયો છે. એ બહુ જાણીતી વાત છે કે ચંદ્રની અસર મન પર થાય છે. ચંદ્રની અસર પાણી પર પણ થાય છે. પૂનમ હોય છે ત્યારે ભરતી આવે છે અને અમાસ હોય છે ત્યારે ઓટ આવે છે. આપણા શરીરમાં કુલ ૭૫ ટકા પાણી હોય છે. તો સ્વાભાવિક છે કે તેના પર પણ ચંદ્રની અસર થાય. જોકે આ બહુ સૂક્ષ્મ માત્રામાં હોય છે, પરંતુ તેમાંય જ્યોતિષની રીતે ચંદ્રના અંશ, ચંદ્ર કઈ રાશિમાં છે વગેરે બાબતો ધ્યાનમાં રખાય છે. પણ સામાન્યતઃ પૂનમે પાગલપણું વધે છે તેવી આપણે ત્યાં જ નહીં વિદેશોમાં પણ માન્યતા છે. વિદેશોમાં પૂનમના દિવસે વેમ્પાયર, વેરવૂલ્ફ બહાર આવે છે તેવી માન્યતા હતી. હકીકતે આ ગપ્પું નથી, કે દંતકથા નથી. આનો કહેવાનો અર્થ એ કે તે દિવસે મનુષ્યોમાંનું પશુત્વ બહાર આવે છે. ડેઇલી મેઇલ નામના બ્રિટનના એક અખબારમાં વર્ષ ૨૦૦૯માં આ અંગે એક અહેવાલ છપાયો હતો. અહેવાલમાં ઑસ્ટ્રેલિયાના એક સંશોધનને ટંકાયું છે. ઑસ્ટ્રેલિયાના આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે વેરવૂલ્ફ જેવા કહી શકાય તેવા (મતલબ પશુ જેવા) ૯૧ ઇમર્જન્સી પેશન્ટોને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ હિંસક અને ખૂબ જ અશાંત હતા. અને આ દર્દીઓએ હોસ્પિટલના સ્ટાફ પર પશુની જેમ બટકા ભર્યાં હતાં. તેમના પર થૂંક્યા હતાં. ઉઝરડા પાડ્યા હતા.વર્ષ ૨૦૦૮માં બ્રિટીશ સંશોધકોને જણાયું હતું કે દર્દીઓએ માથું દુખવાની, હાથ પગ વગેરેમાં ખાલી ચડી જવાની (સંવેદનશૂન્યતા), એકબીજા અવયવો વચ્ચે સંકલન, સ્ટ્રોક વગેરેની ફરિયાદ કરી હતી, પરંતુ તબીબોએ તપાસ્યું તો આવું કંઈ હતું નહીં. મતલબ કે દર્દીઓને માનસિક રીતે જ આવું લાગતું હતું. આમ સંશોધકોને ચંદ્રની અસર અને તબીબી રીતે ન સમજી શકાય તેવાં લક્ષણો વચ્ચે કડી જણાઈ હતી. બ્રિટનના ડેઇલી એક્સ્પ્રેસના વર્ષ ૨૦૦૯ના એક અહેવાલમાં નોંધાયું હતું કે ૭,૨૦૦ દર્દીઓ પૈકી ૧૨૯ દર્દીઓને ખોટા સ્ટ્રોકનાં લક્ષણો અનુભવાયાં હતાં. જ્યારે તેમણે કેલેન્ડર તપાસ્યું ત્યારે ખબર પડી કે તે પૂર્ણિમાનો દિવસ હતો. તારણ એ નીકળ્યું કે આ રહસ્યમય સ્ટ્રોકનું કારણ તબીબી કરતાં વધુ માનસિક હતું. આ અહેવાલમાં આગળ નોંધ્યું છે કે ભારતીય વૈજ્ઞાનિકોના મત પ્રમાણે, જ્યારે પૂનમની આસપાસ સ્ત્રીને બીજ છૂટું પડતું હોય ત્યારે જો સંબંધ બાંધવામાં આવે તો તેને દીકરો જન્મવાની શક્યતા વધુ રહે છે. બ્રાઝિલમાં સાઓ પૌલો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેંચ અથવા આંચકીમાં અણધાર્યાં મોતનાં આઠ વર્ષનાં કિસ્સાઓ તપાસ્યા તો નોંધ્યું કે તેમાંથી ૭૦ ટકા મૃત્યુ પૂનમના દિવસે થયા હતા.આ જ રીતે અમાસની પણ મન પર અસર થાય છે. ઓટ થાય એટલે પાણી જતું રહે. એમ અમાસના દિવસે મનમાં ખાલીપો અનુભવાય છે. ડિપ્રેશન થાય છે. ખોટી ખોટી ચિંતા થાય છે. આપણે હવે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવી લીધું છે. પરંતુ હિન્દુ પંચાંગ ચંદ્રની કળા પર ચાલે છે. આપણે ત્યાં પૂનમ અને અમાસનું મહત્ત્વ છે. દર અમાસે યાચક બ્રાહ્મણને અથવા મંદિરમાં જઈને સીધુ આપવાનો રિવાજ હતો. પૂનમના દિવસે સત્યનારાયણની કથા કરવાનો મહિમા પણ આવા જ કોઈ કારણસર હોવો જોઈએ જેથી મનમાં આડાઅવળા વિચારો ન આવે. મન પ્રભુ ભક્તિમાં લાગેલું રહે. શંકર ભગવાનના માથા પર અર્ધચંદ્ર છે તે બતાવે છે કે પૂનમના ચંદ્રની જેમ મનને ઉન્માદી પણ નથી બનવા દેવાનું કે અમાસે ચંદ્ર સાવ ગાયબ થઈ જાય તેમ મનને નિરાશ પણ નથી થવા દેવાનું. મનને સંતુલિત રાખવાનું છે. બીજો મત એવો પણ છે કે સૂર્યને ગરમ જ્યારે ચંદ્રને ઠંડો મનાય છે. તેમ તપ કરતા હો કે કોઈ સારું કાર્ય કરતા હો તો ક્રોધને મન પર વશ થવા દેવાનો નથી. ચંદ્રની જેમ મનને ઠંડું રાખવાનું છે.શંકર ભગવાનના ભૌતિક રૂપની આધ્યાત્મિક ચર્ચામાં આગળ વધીએ. તેમના ગળામાં સાપ જોવા મળે છે. આપણામાંના ઘણાને સાપથી ડર લાગતો હશે. ફિલ્મો કે ટીવીમાં જ્યારે નકલી સાપને અસલી તરીકે દેખાડતા હશે ત્યારે પણ આંખો બંધ કરી જતા હશે. આ ડર કેમ હોય છે? શંકર ભગવાનના ગળામાં સાપ હાર તરીકે કેમ છે?આપણે ત્યાં ધાર્મિક કથાઓનું બહુ મહત્ત્વ છે. કથાની રીતે-રૂપકની રીતે બધું સમજાવવામાં આવ્યું. કેટલીક બાબતો એવી હોય છે જ્યારે તમે સરળતાથી સમજી ન શકો ત્યારે તેને વાર્તા-કથાની જેમ કહેવાય. ઋષિ-મુનિઓ જે વિજ્ઞાન જાણી ગયા હતા તે સામાન્ય માનવીઓને સમજાવવું અઘરું પડે. આજે થ્રીડી વીડિયોની રીતે આપણે જોઈ શકીએ છીએ તોય વિજ્ઞાન દરેકને સમજાય તેવું નથી. તો એ સમયે તો અઘરું હોય જ. એટલે ઘણી કથાઓ ઊપજી હશે. શિવજીના ગળામાં નાગ પાછળની ધાર્મિક કથા એવું કહે છે કે શિવજીના ગળામાં સાપ છે તે વાસુકિ છે. આ નાગ વિશે પુરાણો એવું કહે છે કે તે નાગોનો રાજા છે અને નાગલોક પર તેનું શાસન છે. સાગર મંથન વખતે તેણે દોરડાનું કામ કર્યું હતું. વાસુકિ નાગ શિવના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને નાગલોકના રાજા બનાવી દીધા. સાથે પોતાના ગળામાં આભૂષણની જેમ લપેટ્યા રહેવાનું વરદાન પણ આપ્યું. બીજી એક કથા પ્રમાણે, નાગ જાતિ ખતરામાં આવી ગઈ. આથી તેમણે શિવજી પાસે કૈલાસમાં રહેવા શરણ માગ્યું. શિવજીએ આપ્યું તો ખરું, પરંતુ ઠંડા તાપમાનના કારણે ત્યાં પણ તેમને મુશ્કેલી થઈ. આથી શિવજીએ તેમને ગળામાં રાખ્યા જેથી શરીરની ગરમી તેમને મળે.શિવજીના ગળામાં સાપને મફલરની જેમ કે હારની જેમ વીંટાળવાનો આધ્યાત્મિક અર્થ કાઢનારા તત્ત્વચિંતકો કહે છે કે શિવજીનું એક નામ પશુપતિનાથ છે. આ સૃષ્ટિમાં રહેતા તમામ સજીવોના ભગવાન શિવ છે. શિવજી સુવર્ણ (સોનું) કે ચાંદી વગેરે દુન્યવી વસ્તુનાં આભૂષણો પહેરવાના બદલે સાપને આભૂષણ તરીકે ધારણ કરે છે. કેમ કે સોના-ચાંદી વગેરે દુન્યવી ચીજોની લાલચ, આસક્તિ અસીમ છે. સાપથી લોકોને ડર લાગે છે. સાપના દંશથી મૃત્યુ થવું પણ સંભવ છે, પરંતુ શિવજીના ગળામાં સાપ બતાવે છે કે શિવજી નિર્ભય છે અને જે વ્યક્તિ શિવજીની શરણમાં આવશે તે પણ નિર્ભય બની જશે. તેને કોઈ જાતના પશુ-પંખી, વિષનો ભય નહીં રહે. તેને મૃત્યુ પણ નહીં સતાવે. સાપને કુંડલીની શક્તિના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. શિવજી મહાયોગી છે. યોગવિદ્યાના જાણકારોનું માનવું છે કે કુંડલીની શક્તિ આપણા મૂળાધાર ચક્ર (જે આપણી ગુદા અને જનનેન્દ્રિય વચ્ચે આવેલું છે.)માં સાપની જેમ ગૂંચળું વળીને પડેલી હોય છે, પરંતુ શિવજી મહાયોગી હોવાથી તેમનામાં આ શક્તિ જાગૃત થઈ, ઉર્ધ્વગમન કરીને ઉપર સુધી આવેલી છે. આ ઉપરાંત સાપને ઈચ્છાઓ અને લાગણીઓના રૂપમાં પણ જોવામાં આવે છે. સાપને ગળામાં પહેરીને શિવજી બતાવે છે કે તેઓ તમામ ઈચ્છાઓ અને લાગણીઓથી પર છે. જિતેન્દ્રિય છે. માત્ર શિવજીએ જ નહીં, વિષ્ણુ ભગવાને પણ સર્પનું મહત્ત્વ બતાવ્યું છે. વિષ્ણુ ભગવાન શેષનાગની શય્યા પર શયન કરે છે. સૂર્યનારાયણના રથનું વહન સર્પ કરે છે. ગણેશજી પણ યજ્ઞોપવિત તરીકે સાપને ધારણ કરે છે. નાગપંચમીએ આપણે ત્યાં નાગનું ચિત્ર બનાવીને અથવા સાક્ષાત નાગની પૂજા પણ થાય છે. ગુજરાતીમાં સાપને દૂધ પીવડાવવું અને હિન્દીમાં ‘આસ્તિન મેં સાંપ કો પાલના’ જેવી કહેવત પણ આવી છે. જ્યોતિષની રીતે સર્પ દોષ અને કાળ સર્પ દોષ છે. પૂર્વ જન્મમાં પાપ કર્યાં હોય, પૂર્વજોએ કાળા જાદુ અથવા તંત્ર-મંત્રના પ્રયોગો કર્યા હોય, સાપ કે ભ્રૂણ હત્યા કરી હોય તો આવો દોષ કુંડળીમાં બનતો હોવાનું જ્યોતિષના જાણકારોનું માનવું છે.સાપનું આટલું મહત્ત્વ અને તેનો ડર કેમ છે? વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમજવું પડશે. વૈજ્ઞાનિકો માને છે કે કેટલાક ડર આપણે જન્મજાત લઈને આવીએ છીએ. કેટલાક ક્રમશઃ વિકસિત થાય છે. સાપનો ડર મોટા ભાગે જન્મજાત હોય છે. ફોનની ભાષામાં કહીએ તો ફેક્ટરી મોડ. આધ્યાત્મિક રીતે કહીએ તો પૂર્વ જન્મના વારસામાં કેટલાક ડર કેટલાક ગમા-અણગમા કેરી ફોરવર્ડ થયેલા હોય છે. કેટલાકને ગરોળીથી એલર્જી હોય તો કેટલાકને છછૂંદરથી. કેટલાકને ઉંદરથી. કેટલાકને વાંદાથી. સાપ ક્યારેય કરડ્યા ન હોય તેવી વ્યક્તિને પણ સાપને ટીવી કે ફિલ્મમાં જોતા પણ ડર લાગે તેવું સંભવ છે, પણ આ સાપ, ઉંદર વગેરે જે આપણા શિવજી-ગણેશજી-વિષ્ણુ ભગવાન વાહન તરીકે યા આભૂષણ તરીકે ધારણ કરે છે તે કદાચ લોકોને પર્યાવરણનું સંતુલન સમજાવવા માટે હોઈ શકે. પહેલાંના સમયમાં કૃષિ મુખ્ય વ્યવસાય હતો. ખેતરોમાં સાપ બહુ નીકળે અને સર્પદંશથી મૃત્યુના કિસ્સા બને. આના કારણે સ્વાભાવિક જ સાપને મારી નાખવામાં આવે, પરંતુ જો સાપને મારી નાખવામાં આવે તો તેનાથી પર્યાવરણનું (ઇકો સિસ્ટમ)-ખોરાકનું (ફૂડ ચેઇન) ચક્ર ખોરવાઈ જાય.ખેતીમાં થતા પાકને બગાડતા ઉંદર તેમ જ અન્ય જીવજંતુઓને સાપ ખાઈ જાય છે. વળી સાપ પોતે પણ બીજા પ્રાણીઓનો ખોરાક છે. નોળિયો, દરેક પ્રકારની બિલાડી, ઉત્તર અમેરિકામાં જોવા મળતું વરુ (કોયોટ), જંગલી ડુક્કર અને કેટલાક દેડકા સાપને ખાય છે. જો સાપની પ્રજાતિ નષ્ટ પામે તો આ પ્રાણીઓનો ખોરાક નષ્ટ થાય. આના પરિણામે ખોરાકનું ચક્ર ખોરવાઈ જાય. સાપની કાંચળીનું પણ મહત્ત્વ છે. આ કાંચળીમાં અનેક પોષક તત્ત્વો રહેલાં છે! સાપની કાંચળીથી બેગ, સ્કાર્ફ, પટ્ટો, બૂટ, હેન્ડ બેગ વગેરે બને છે. ખિસકોલી આ કાંચળીને ખાય છે. બીબીસીના ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના અહેવાલ પ્રમાણે, લિવરપુલ (ઈંગ્લેન્ડ)ના સંશોધકો માને છે કે માનવના રોગો માટે સાપના ઝેરમાંથી દવા બનાવી શકાય છે. જોકે, સાપના ઝેરમાંથી માદક ડ્રગ્સ બને છે તે એક દુઃખની વાત પણ છે. ભારતમાં દિલ્હી સહિતના મેટ્રો શહેરમાં યુવાનોમાં કોબ્રાના ઝેરમાંથી બનતું ડ્રગ્ઝ વેલેન્ટાઇન દિવસે, રેવ પાર્ટીઓમાં અને ડિસ્કો થેકમાં યુવાનોમાં ઘણું વેચાય છે. તેનાથી સેન્સેશન વધે છે. શક્તિનો વધારો થયો હોય તેવું લાગે છે. યુવાનો લાંબા સમય સુધી નાચી શકે છે તેવું મનાય છે. દિલ્હીમાં વેલેન્ટાઇન દિવસના એક સપ્તાહ પહેલાં આવા ડ્રગ્ઝનું વેચાણ વધી જાય છે. અંગ્રેજી સમાચારપત્ર ડીએનએના ૧૧ એપ્રિલ, ૨૦૧૫ના અહેવાલ પ્રમાણે, રેટલસ્નેક (અમેરિકામાં જોવા મળતા વિષધર સાપ)ના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવાથી એચઆઈવીને ફેલાતા અટકાવી શકાય છે. નવી દિલ્હીમાં વર્લ્ડ હોમિયોપેથ સમ્મિટમાં સંશોધકોએ આવું સંશોધન રજૂ કર્યું હતું. હૈદરાબાદની જેએસપીએસ ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કૉલેજ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નૉલૉજીના ડૉક્ટરોએ સંશોધન કર્યું હતું કે સાપના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવા ક્રોટેલસ હોરિડસ એચઆઈવીને ફેલાતા અટકાવે છે. આયુર્વેદમાં પણ સાપના ઝેર તેમ જ સાપના શરીરના વિવિધ ભાગોનો ઉપયોગ દવાઓમાં થાય છે.આમ, પર્યાવરણના ચક્રને જાળવી રાખવા માટે, લોકોમાં સાપનો ભય દૂર કરવા, સાપ જેવી મનમાં સળવળતી ઈચ્છાઓ, કામેચ્છાઓને વશ કરવા શિવજીએ ગળામાં સર્પને ધારણ કર્યું હોવાનું માની શકાય. અને અંતે, રમૂજમાં કહેવું હોય તો કહી શકાય કે જો સાપ ન હોત તો રાજકુમાર કોહલીની ‘નાગીન’, હરમેશ મલ્હોત્રાની શ્રીદેવી અભિનીત ‘નગીના’ જેવી સુપરહિટ ફિલ્મો ક્યાંથી હોત? અને અત્યારે એકતા કપૂરની સૌથી વધુ ટીઆરપી મેળવતી કલર્સ ચેનલ પર આવતી ‘નાગીન’ સિરિયલ પણ ક્યાંથી હોત?

Related posts

સેનાનો જય, રાજદ્વારી નીતિનો વિજય

aapnugujarat

પ્રેમ જોઇએ તો પ્રેમ આપો

editor

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1