દેણા ગામની પ્રાથમિક શાળામાં પારુલ મેડમના નામે વિદ્યાર્થીઓના માનીતા શિક્ષિકા બહેને, વિદ્યાર્થીઓને નિયમિત અને મહત્તમ હાજરી માટે પ્રોત્સાહિત કરવા એક નવી પહેલ કરી છે. આ પહેલના ભાગ રૂપે શાળા પ્રવેશોત્સવમાં ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ગત વર્ષે ઓછામાં ઓછી ગેરહાજરી અને મહત્તમ હાજરીની સાથે નિયમિતતા જાળવનારા, ધો. ૧ થી ૮ના પ્રત્યેક ધોરણના ટોચના વિદ્યાર્થીનુ સન્માન કરવાની સાથે, પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. ખેલ રાજ્યમંત્રીએ પારુલ બહેનના આ પ્રયોગને બિરદાવતા યાદ અપાવ્યુ હતું કે સયાજી શાસનમાં ગેરહાજર વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી નાણાંકીય દંડ વસુલાતો હતો. તેમણે જણાવ્યું કે શાળામાં પોતાના સંતાનની નિયમિત હાજરી જાળવવાની જવાબદારી વાલીઓ, સરપંચો અને ગ્રામ પ્રદાધિકારીઓની છે. આચાર્ય નિલંતાબહેને નિયમિત હાજરીને પ્રોત્સાહિત કરતો આ પ્રયોગ કાયમી પરંપરા તરીકે ચાલુ રાખવાનુ જાહેર કર્યુ હતુ.