લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો વ્યાપી રહ્યો છે. સરકાર પડવાની અટકળો વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે તમામ મંત્રીઓને સાવચેત રહેવાની સૂચના આપી છે. કમલનાથે તમામ મંત્રીઓને કહ્યું કે તેમણે વિપક્ષના કાવતરાને નિષ્ફળ બનાવવાનું છે. તેમણે કહ્યું કે કોઇ પણ પ્રકારના ભંગાણની વાતોનું બધા મળીને ખંડન કરે અને તમામ એકતા દર્શાવે. વિપક્ષને પણ તેમની એકતા નજર આવવી જોઇએ. લોકસભાની ચૂંટણી બાદ પહેલી વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મંત્રીઓ સાથે લગભગ દોઢ કલાક બેઠક યોજી. ચૂંટણીમાં રાજ્યની ૨૯માંથી ૨૮ બેઠકો ભાજપે મેળવી છે જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક જ બેઠક આવી છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે ભાજપે દાવો કર્યો હતો કે ચૂંટણી બાદ કમલનાથ સરકાર પડી શકે છે.