લોકસભા ચૂંટણીઓનાં પરિણામ આવી ગયાં છે. નરેન્દ્ર મોદી એક વાર ફરી વડા પ્રધાનપદે બિરાજશે. ભાજપની આ જીતથી વિપક્ષમાં હલચલ મચી ગઈ છે. સૌથી મોટી બબાલ પંજાબમાં થઈ છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે નવજોત સિદ્ધુને જવાબદાર ઠેરવ્યા છે. હવે તેઓ સિદ્ધુ પર વધુ હુમલો કરી રહ્યા છે.
અમરિન્દરસિંહે પાર્ટી નેતૃત્વને કહી દીધું છે કે તેઓ સિદ્ધુ કે તેમનામાંથી કોઈ એકની પસંદગી કરી લે. સૂત્રોની વાત માનીએ તો કેપ્ટન અમરિન્દરસિંહે કેન્દ્રીય નેતૃત્વને કહી દીધું છે કે નવજોતસિંહ સિદ્ધુના કારણે પંજાબ અને અન્ય રાજ્યમાં પાર્ટીને ખૂબ જ નુકસાન થયું છે. હવે પાર્ટીએ સિદ્ધુ અથવા અમરિન્દરસિંહ બેમાંથી એકની પસંદગી કરવી પડશે.
કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું કે સિદ્ધુને પક્ષમાંથી બહાર કરી દેવા જોઈએ અથવા પંજાબમાંથી હટાવીને તેમને દિલ્હીમાં કોઈ જવાબદારી આપે, જોકે આ સાથે તેમણે જોર લગાવીને એમ પણ કહ્યું હતું કે સિદ્ધુને પાર્ટીમાંથી બહાર કાઢવા યોગ્ય થશે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં કોંગ્રેસને ૧૩માંથી ૮, ભાજપ-અકાલીદળને ૪ અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી છે. કોંગ્રેસનો દાવો હતો કે તે પંજાબમાં આ વખતે તમામ ૧૩ બેઠકો પર જીત મળશે.
ગુરુવારે પરિણામ જાહેર થયા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે નવજોતસિંહ સિદ્ધુ પર હારનું ઠીકરું ફોડ્યું હતું. અમરિન્દરસિંહે કહ્યું હતું કે નવજોતસિંહ સિદ્ધુનું પાકિસ્તાની સેનાના પ્રમુખ જાવેદ બાજવાને ગળે મળવાનું પક્ષને મોંઘું પડ્યું હતું. કોઈ પણ હિન્દુસ્તાનીને આ વાત પસંદ પડી નથી.