તમે લગ્ન પહેલાં જન્મ કુંડળી મેળવો કે ન મેળવો પરંતુ હવે દંપત્તીનો બ્લડ રિપોર્ટ કરાવવો આવશ્યક બની જશે. સરકાર લગ્ન પહેલાં બ્લડ ટેસ્ટની તપાસ કરાવવાનો કાયદો ઘડવાની તૈયારી કરી રહી છે.
સરકારે થેલેસેમીયા અને સિકલ સેલ જેવી લોહીને લગતી બિમારીઓ અટકાવવા માટેના એક્શન પ્લાન અંતર્ગત એક ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. આ કાયદો લાગુ થયા બાદ દરેક વ્યક્તિનો થેલેસેમિયા રિપોર્ટ કરાવવામાં આવશે.
હકીકતમાં આ બીમારીથી પીડિત માતાપિતાના બાળકો પણ તેની ઝપટમાં આવી જાય છે, એટલે સરકાર લગ્ન પહેલાં યુગલોનો થેલેસેમિયા રિપોર્ટ કરાવવા માટે કાયદો પસાર કરાવશે.ફક્ત યુગલોના જ બ્લડ રિપોર્ટ નહીં પરંતુ સ્કુલના બાળકો અને ગર્ભવતી મહિલાઓ અને થેલેસેમિયાના દર્દીના સંબંધીઓ અને તેમના બાળકોનો ફરજીયાત થેલેસેમિયા રિપોર્ટ કરાવવાની સરકાર તૈયારી કરી રહી છે.થેલેસેમિયાના જોખમો વિશે માહિતી આપતા હેમેટોલૉજિસ્ટ નીતા રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે એક જ સમુદાયમાં લગ્ન થવાથી આ બીમારી જન્મે છે. પંજાબી અને સિંધી સમુદાયમાં થેલેસેમિયાની સૌથી મોટી અસર જોવા મળે છે. મહારાષ્ટ્રથી લઈને ઓડિશા સુધીના બેલ્ટમાં લોકો આ બીમારીથી પ્રભાવિત છે. આ વિસ્તારોમાં દર ૧૦૦માંથી ૫ વ્યક્તિને થેલેસેમિયા છે. આ બીમારીનું મોટું કારણ જેનેટિક મ્યૂટેશન છે. જે વ્યક્તિને થેલેસેમિયા હોય તેને દર ૧૫ દિવસે લોહી બદલાવવું પડે છે.