ભૂતપૂર્વ કૅપ્ટન દિલીપ વેન્ગસરકરનું એવું માનવું છે કે ઓપનર કેએલ રાહુલ ૩૦મી મેએ શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપમાં ચોથા નંબરના બૅટ્સમૅન તરીકે સારો વિકલ્પ બની શકે એમ છે, કારણકે બૅટિંગની બાબતમાં તેની પાસે બહુ સારી ટેક્નિક છે તેમ જ ઇંગ્લૅન્ડની પરિસ્થિતિમાં સફળ થવા માટે જરૂરી માનસિકતા પણ તે ધરાવે છે. ‘કર્નલ’ તરીકે જાણીતા વેન્ગસરકર ભારતના શ્રેષ્ઠ ક્રિકેટ-સિલેક્ટરોમાં ગણાય છે. તેમને ખાતરી છે કે વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ આસાનીથી સેમી ફાઇનલમાં પહોંચી જશે અને ત્યાર પછી કપરી કસોટીનો સામનો કરવો પડશે. વેન્ગસરકરે કહ્યું હતું કે ‘આપણી પાસે ઓપનિંગ માટે શિખર ધવન અને રોહિત શર્મા છે. વિરાટ વનડાઉનમાં રમશે. મને લાગે છે કે ચોથા નંબર માટે રાહુલ સારો વિકલ્પ બની રહેશે. એ સ્થાન પર સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅન હોવો જોઈએ.’ જોકે, ચોથા નંબર માટે ઑલરાઉન્ડર વિજય શંકરનું નામ પણ બોલાય છે.
પાછલી પોસ્ટ