એક સામાન્ય કામ નહીં કરવા પર દેશમાં લગભગ ૨૪ કરોડ લોકોના પેન કાર્ડ નકામા થઈ શકે છે. હક્કીકતમાં આવક વેરા વિભાગે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આધાર સાથે લિંક નહીં કરેલા હોય તેવે પેન કાર્ડને નિષ્ક્રીય કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ૩૦ સપ્ટેમ્બર આધાર-પેન લિંક કરવાની અંતિમ તારીખ છે.
આંકડાઓ અનુસાર ૪૪ કરોડ પેન કાર્ડમાંથી લગભગ ૨૪ કરોડ જેટલા પેન કાર્ડને આધાર સાથે લિંક કરવાના બાકી છે. જૂલાઈ ૨૦૧૭માં આધાર કાર્ડ સાથે જોડાયેલા એક નિર્ણય બાદ આધાર-પેન લિંકિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં મોટી સંખ્યામાં આધાર-પેન લિંકિંગ થયાં છે.
કેટલાક કરદાતાઓએ નામમાં સુધારાની લાંબી પ્રક્રિયાને કારણે આધાર સાથે પેન લિંક કેન્સલ થવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે લિકિંગની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે.
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, જે લોકોનું પેન કાર્ડ આધાર સાથે લિન્ક નહીં થયું હોય તે વર્તમાન અસેસમેન્ટ વર્ષ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (આઈટીઆર) પણ ફાઈલ નહીં કરી શકે. આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ ૩૧ જૂલાઈ છે, ત્યારબાદ રિટર્ન ફિ સાથે સપ્ટેમ્બર સુધીમાં જમા કરી શકાશે.
આવક વેરા વિભાગની વેબસાઈટ પર જઈને હોમપેજ પર લિંક આધારનો વિકલ્પ આપવામાં આવેલો છે. એકાઉન્ટ બનાવવા માટે રજીસ્ટ્રેશન કરો, ત્યાર બાદ લોગઈન કરો. હવે પ્રોફાઈલના સેટિંગમાં જઈને આધાર પેન લિંકિંગ ઓપ્શન પર ક્લિક કરો. અહીં આધાર નંબર અને કેપ્ચા કોડ આપવાનો રહેશે.
આ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારું આધાર પેન સાથે લિંક થઈ જશે. આ ઉપરાંત સ્માર્ટ ફોનની મદદથી પણ તમે લિંક કરી શકો છો.
એસએમએસ દ્વારા લિંક કરવા માટે ૫૬૭૬૭૮ અથવા તો ૫૬૧૬૧ પર એસએમએસ મોકલીને પણ આધાર-પેન લિંક કરી શકો છો.