કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર ગુરુવારે દિયોદરમાં અપક્ષ ઉમેદવાર ઠાકોર સ્વરૂપજીના પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં જાહેર સભામાં અલ્પેશે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેને જવાબ આપવો પડશે. કોંગ્રેસમાં ટિકિટોના સાદો થાય છે. છેલ્લા ૬ મહિનાથી મનોમંથન કરતો હતો અને હવે આખરે નિર્ણય લઈ લીધો છે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આજે નવી વાત કરવા આવ્યો છું. નવા પ્રચાર માટે આવ્યો છું. આપણે વ્યસન મુક્તિની વાત કરી, શિક્ષણની વાત કરી ત્યારે આપણને રોકવાની કોશિશ કરાઈ છે. આપણે જ્યારે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું ત્યારે ઘણા સપના હતા.અલ્પેશે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી જ્યારે સંઘર્ષ કરતી હતી ત્યારે આપણે તેમને સમર્થન આપ્યું હતું. જે પાર્ટી છેલ્લી ૩-૪ ચૂંટણીમાં ખૂબ ઓછી સીટો જીતતી હતી તેને આપણે ખૂબ આગળ લઇ ગયા છીએ. હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે આપણી સેનાને સન્માન અપાયું પણ ચૂંટણી પછી કોંગ્રેસ દ્વારા આપણા કાર્યકર્તાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
ઘણા કહે છે કે, તમને તો બહુ આપ્યું, પણ ભાઈ એ અલ્પેશ એકલા માટે થોડું છે.અલ્પેશે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ લગાવતા કહ્યું કે, આ પાર્ટીમાં લોકો ટિકિટ માંગવા જાય ત્યારે કહેવામાં આવે તમારી જોડે પૈસા છે. કયાંક ટિકિટોના સોદા પણ થતા હોય. કોંગ્રેસ પાર્ટીએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેને જવાબ આપવો છે.અલ્પેશે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પુરી થયા બાદ દરેક ગામમાં રથ લઈને આવીશ. ૨૦૧૭માં અલ્પેશ ઠાકોર રૂપાળો લાગતો હતો, હવે તેમને ખરાબ લાગે છે. આપણે કોંગ્રેસ અને ભાજપ બંનેને હરાવવાના છે. આપણે આપણી તાકાત બતાવીએ કે, કોઈ પાર્ટી એમ ના કહે કે બનાસકાંઠામાં સમીકરણ નથી બેસતું, ફક્ત પૈસાવાળાનું જ સમીકરણ બેસે છે. જે લોકોએ અલ્પેશ ઠાકોરને મજબુર કર્યો તેમને બતાવવું છે.